અમદાવાદઃ 500 અને 1000 ની નોટ રદ્દ થયા બાદ લોકો હેરાન થઇ રહ્યા છે. લોકો બેંકો અને એટીએમની બહાર લાંબી લાઇનો લગાવી રહ્યા છે. લોકોને પડી રહેલી આ મુશ્કેલીનો અમુક તત્વોએ ધંધો બનાવી લીધો છે. જે લોકોને ખરેખર પૈસાની જરૂર છે તે લોકો કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભા રહે છે તેમ છતા તે લોકો પૈસા ઉપાડી નથી શક્તા કે, નોટો એક્સચેન્જ નથી કરાવી શક્તા કેમ કે, કેટલાક તત્વો ભાડેથી માણસો ઉભા રાખે છે કે પછી ટોકન લઇને તેનું વેચાણ કરે છે.


સરખેજમાં આવેલી બેંક ઑફ ઇન્ડિયાની બેંકમાં ટોકનનો વેપાર થતો હોવાનો આક્ષેપ ત્યાંના સ્થાનિક લોકોએ કર્યો છે. અહીં લોકો પૈસા કઢાવવા માટે નહી પણ બેંકમાં ઝડપથી નંબર આવે તે માટે ટોકન મેળવવા માટેની લાઇનમાં ઉભા રહ્યા છે. આ બેંકમાં 5 દિવસ બાદની ટોકન પણ મળી રહી છે. જો બીજા દિવસની ટોકન લેવી હોય તો તેની કિમત 300 રૂપિયા છે. આમ કેટલાક ઠગો લોકોની મુશ્કેલીનો લાભ ઉઠાવી રહ્યા છે.