અમદાવાદ: કોરોના વાયરસને કારણે ગરબાના આયોજન પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ અમદાવાદના એક ગરબા આયોજકે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કર્યું છે. વર્ચ્યુઅલ ગરબામાં લોકો પોતાના ઘરેથી જ ઈ પાસ મેળવી ગરબે ઝૂમી શકશે.


9 દિવસ માટે યોજાનારી વર્ચ્યુઅલ નવરાત્રિમાં ખેલૈયાઓ ઓનલાઇન પાસની ખરીદી કરી ભાગ લઇ શકશે. વર્ચ્યુઅલ નવરાત્રિમાં ખેલૈયાઓ ઘરે બેઠા ગરબા કરી શકશે, જેથી સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ભંગની પણ કોઇ ચિંતા નહીં રહે. 9 દિવસ અલગ અલગ ગરબા ગાયકો આ નવરાત્રિમાં ભાગ લેશે અને સાથે 9 દિવસના અંતે લોકોને ઈ વાઉચર થકી ઇનામો પણ આપવામાં આવશે.

ગુજરાતમાં વિજય રૂપાણી સરકારે લીધેલા નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ સ્થળે ગરબાનાં જાહેર આયોજન કરી શકાશે નહી. પાર્ટી પ્લોટમાં તો આયોજન કરી જ નહીં શકાય પણ શેરી ગરબા પણ નહીં યોજી શકાય.

નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિ ની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય તથા પ્રસાદ વિતરણ નહીં કરી શકાય. આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે. આ ઉપરાંત 20થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં તેમજગરબી અને મૂર્તિની સ્થાપના તથા પૂજા-આરતીનો કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.