Sabarmati Ashram Memorial project: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રિનોવેશન પ્રોજેક્ટનો શુભારંભ કરશે. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. 55 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે. આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે.






આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.


અહીંયા ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ જોવા મળશે. આ સાથે આ સંકુલ મુલાકાતીઓ અને પ્રવાસીઓ માટે વ્યાખ્યાન કેન્દ્ર તેમજ જાહેર સુવિધાઓ જેવીકે ફૂડ કોર્ટ, સોવેનિયર શોપ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ હશે. અહીંયા એવા વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. જ્યાં મુલાકાતીઓ ગાંધીજીના સાતત્ય અને આત્મનિર્ભરતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના વિચારોનો અનુભવ કરી શકશે.તેમજ આશ્રમમાં ગાંધીજીના સમય દરમિયાન બનાવવામાં આવેલ હસ્તકલાઓને પણ નિહાળી શકાશે.


આ રસ્તાઓ રહેશે બંધ


વડાપ્રધાન મોદીની મુલાકાતને પગલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું.  12 માર્ચે સુભાષબ્રિજથી ગાંધી આશ્રમ તરફ જતો રસ્તો વાહનો માટે બંધ રહેશે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી સુભાષબ્રિજથી ગાંધી આશ્રમ થઈ વાડજ જતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.

વાડજ જવા માટે પ્રબોધ રાવળ સર્કલથી રાણીપ ટી થઈ પલક ટીથી ડાબી બાજુ વળી નવા વાડજ પોલીસ ચોકી થઈ વાડજ સર્કલ સુધીના માર્ગ પર અવરજવર કરી શકાશે.


40 વૃક્ષને અન્ય સ્થળે ખસેડાશે.


અમદાવાદમાં પાંચ એકર જમીન પર ફેલાયેલા ગાંધી આશ્રમના નવિનીકરણ માટે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે.  હાલમાં ગાંધી આશ્રમ આસપાસના વૃક્ષને એક સ્થળેથી બીજા સ્થળે હટાવવા કામગીરી શરૂ કરાઈ છે.  40 વૃક્ષને તેના મૂળ સાથે જમીનમાંથી બહાર કાઢી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.  મૂળ ફળદ્રુપ રહે તે માટે મૂળને કંતાનથી ઢાંકવામાં આવી રહ્યા છે.