અમદાવાદ: લાંબા સમયથી ચર્ચામાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની આખરે પાંચ દિવસની શોધખોળ બાદ ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ ગીર સોમનાથના તાલાલા પોલીસે કરી છે, જ્યારે તેઓ સુરેન્દ્રનગરના દુધઈ ગામમાં આવેલા એક ફાર્મહાઉસમાં છુપાય હત. તેમની સાથે અન્ય છ ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, આ ધરપકડનો મામલો તાલાલાના ધ્રુવરાજસિંહ પર થયેલા હુમલા સાથે જોડાયેલો છે. આ ઘટના બાદ ધ્રુવરાજસિંહે દેવાયત ખવડ અને અન્ય 15 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસ ચાર દિવસથી દેવાયત ખવડની શોધ કરી રહી હતી, પરંતુ તે ફરાર હત.

પોલીસ હવે દેવાયત ખવડ અને અન્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે અને તેમના રિમાન્ડની માંગણી કરશે, જેથી આ કેસની વધુ તપાસ કરી શકાય. આ કેસમાં કયા અન્ય લોકો સામેલ હતા અને હુમલા પાછળનું કારણ શું હતું, તે જાણવા માટે પોલીસ આ રિમાન્ડની માંગણી કરશે.

સુરેન્દ્રનગરના ફાર્મહાઉસમાંથી ઝડપાયા

લોકસાહિત્યકાર દેવાયત ખવડ, જે તાજેતરમાં એક હુમલાના કેસને લઈને વિવાદમાં હતા, તેમની પાંચ દિવસની શોધખોળ બાદ ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથની તાલાલા પોલીસે તેમને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામમાં આવેલા તેમના ફાર્મહાઉસ પરથી ઝડપી પાડ્યા છે. પોલીસની ચાર અલગ-અલગ ટીમો તેમની શોધ કરી રહી હતી. બે દિવસ પહેલા જ તેમના આ ફાર્મહાઉસમાં દેખાયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે સુરેન્દ્રનગર એલસીબી પણ તપાસમાં જોડાઈ હતી.

હુમલાની ઘટના અને વાહન માલિકોની પૂછપરછ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાણંદના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો. આ ઘટના બાદ તેમણે દેવાયત ખવડ સહિત 15 લોકો સામે હુમલાની ફરિયાદ નોંધાવી હતી. આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર - એક ફોર્ચ્યુનર અને એક ક્રેટા ગીર સોમનાથમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે આ બંને કારના માલિકો, રાજકોટના મિલનભાઈ દાવડા અને અમરેલીના મહેશભાઈ વરુની પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં વધુ કઈ માહિતી સામે આવી છે તે અંગે પોલીસ ટૂંક સમયમાં વધુ ખુલાસો કરે તેવી શક્યતા છે.

સમર્થન અને પડકાર

આ વિવાદના કારણે સમાજમાં બે અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક તરફ, કાઠી-ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા એક પત્ર વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દેવાયત ખવડને સમર્થન આપવામાં આવ્યું છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કિન્નાખોરીને કારણે ખવડ સામે ફરિયાદ કરવામાં આવી છે. પત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે સોશિયલ મીડિયા પર ખવડને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

બીજી તરફ, મેઘરાજસિંહ ગોહિલ નામના એક વ્યક્તિનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ દેવાયત ખવડને ખુલ્લો પડકાર આપતા અને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી આપતા જોવા મળે છે. આ બંને વચ્ચેની તકરાર અમદાવાદના સનાથલમાં થયેલા ડાયરાની બબાલથી શરૂ થઈ હતી. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા બાદ મેઘરાજસિંહનો ગુસ્સો બહાર આવ્યો અને તેમણે આ ધમકીભર્યો વિડીયો બનાવ્યો. આ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં પોલીસની કાર્યવાહી અને કોર્ટના ચુકાદા પર સૌની નજર રહેશે.