સેટેલાઈટ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિશાલભાઈ ડિપ્રેશનમાં રહેતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, એમ પોલીસે જણાવ્યું હતું. તે સતત કોઈની સાથે ફોન પર વાત કર્યા કરતા હતા તેથી પોલીસે તેમનો મોબાઈલ કબજે કરીને સીડીઆર મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સેટેલાઈટમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલભાઈ રમેશભાઈ ડાભીએ પોતાના ફ્લેટમાં 24 ડિસેમ્બરે બપોરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પી.સી.આર વાન અને પોઈન્ટ પર નોકરી કરતા વિશાલભાઈ મિત્રો સાથે રહેતા હતા. બપોરે તેમનો મિત્ર ઘરે આવ્યો ત્યારે દરવાજો ઘણી વાર સુધી ખખડાવવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો. તેણે આજુબાજુના લોકોને જાણ કરીને દરવાજો તોડીને તપાસ કરતાં વિશાલભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસને જાણ કરાતા સેટેલાઈટ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાધ ધરી હતી. ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. વિશાલભાઈ 2013માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિશાલભાઈની બે મહિના પહેલા જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. મૂળ ધંધુકાના રહેવાસી વિશાલભાઈ અપરણિત હતા. આ બનાવનું કારણ જાણવા પોલીસે તેમની સાથે રહેતા તેમના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.