અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારે બે વર્ષ પછી સોસાયટી અને રહેણાંક વિસ્તારોમાં ગરબાની મંજૂરી આપતાં લોકો ગરબાની મજા માણી રહ્યાં છે ત્યારે તેમના માટે ખરાબ સમાચાર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડશે. અમદાવાદમાં શનિવારે ઝાપટાં પડ્યાં હતાં અને હવામાન વિભાગે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે એ જોતાં ઉત્ત તથા મધ્ય ગુજરાત સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં નવરાત્રિનો રંગ બગડશે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે એ જતાં જતાં નવરાત્રિનો રંગ બગાડશે.


હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.


રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડતાં લોકોની મજા બગડી છે. શનિવારે  અમદાવાદ સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો તેથી ખેલૈયા  ચિંતામાં મૂકાઈ ગયા હતા. અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.   સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે પણ હજુ વરસાદ ચાલુ જ છે.


અમદાવાદમાં  શનિવારે મણિનગર, સીટીએમ, જશોદાનગર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.  પાલડીમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ચકુડિયા મહાદેવ, ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં પણ સામાન્ય વરસાદી ઝાપટાં પડ્યા હતા.  મેમ્કો, નરોડા અને કોતરપુર વિસ્તારમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.