ગાંધીનગર: ચંદ્રયાન ત્રણ મિશન ભારત દેશ માટે ખૂબ જ મહત્વનું મિશન છે. 23 ઓગસ્ટે સાંજે 05:47 કલાકે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3 મિશનમાં ગુજરાતના ઈસરો અને ઇન સ્પેસનો પણ મહત્વનો ફાળો છે. ચંદ્રયાન-3 મા લાગેલ કેમેરા,એન્ટેના અને રીમોટ કંટ્રોલનું ગુજરાતમાં  ઉત્પાદન કરાયું છે. અમદાવાદમાં આવેલ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર અને ઇન સ્પેસ સંસ્થાનોનું યોગદાન ચંદ્રયાન-3 મિશનમાં રહેલું છે. 


ચંદ્રયાન-3 ના લેન્ડરને પણ વિક્રમ સારાભાઈના નામ પરથી વિક્રમ નામ અપાયું છે. ચંદ્રયાન પર લેન્ડ થયા બાદ પ્રથમ ચંદ્રના પ્લાઝમા,વાતાવરણનું તાપમાન અને સિસ્મિક ગતિવિધિ અંગે માહિતી મેળવવા લેન્ડર પેયલોડ પરીક્ષણ કરશે. ચંદ્રયાન-3 માં લાગેલ રોવર પેયલોડમાં લાગેલા કેમેરા જગ્યાના ફોટોગ્રાફ્સ લેશે જે ત્યાંની ભૌગોલિક સ્થિતિ અંગે માહિતી આપશે. રોવરના એક્સ રે ના માધ્યમથી ત્યાંની જમીન અંગેની માહિતી જાણવામાં આવશે. ચંદ્રયાન-3 ના લોન્ચિંગથી લેન્ડિંગ સુધીની સફરમાં ગુજરાતના યોગદાનને લઈ ગુજરાતના વૈજ્ઞાનિકો અને યુવાઓને ખુબ જ ઉત્સાહ છે. સમગ્ર દેશના આ મિશનમાં ગુજરાતના યોગદાનથી ગુજરાતના યુવાઓ પણ આગામી સમયમાં સ્પેસ એક્ટિવિટીમાં વધુ માર્ગદર્શન મેળવશે.


 






ચંદ્રયાન-3 પરથી લેવામાં આવી ચંદ્રની તસવીરો


ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાના એક દિવસ બાદ રવિવારે ઈસરોએ એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં 'ચંદ્રયાન-3' પરથી લેવામાં આવેલી ચંદ્રની તસવીરો બતાવવામાં આવી છે. સ્પેસ એજન્સીએ વીડિયો સાથે લખ્યું છે કે 'ચંદ્રયાન-3' મિશનમાંથી ચંદ્રનો નજારો, જ્યારે તેને 5 ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. વીડિયો દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં ચંદ્રને વાદળી-લીલા રંગમાં બતાવવામાં આવ્યો છે. ચંદ્ર પર ઘણા ખાડાઓ પણ દેખાય છે.  આજે ચંદ્રયાનને ચંદ્રની નજીક લાવવામાં આવશે.  


આ પહેલા ચંદ્રની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું


આ પહેલા  ચંદ્ર તરફ ઝડપથી આગળ વધી રહેલા ચંદ્રયાન-3એ શુક્રવારે એટલે કે 4 જુલાઈએ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું બે તૃતીયાંશથી વધુ અંતર કાપ્યું હતું. એક દિવસ પછી એટલે કે 5 ઓગસ્ટે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.