અમદાવાદ: સાળંગપુર ખાતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સ્મૃતિ મંદિરની શિલાન્યાસ વિધિ બાદ હવે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ મંદિરની કામગીરી માટે સાધુ સંતો અને હરિભક્તો રોજ શ્રમદાન કરી રહ્યા છે.

BAPS (બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા)ના વડા પ્રમુખ સ્વામી મહારાજ 13મી ઓગસ્ટે 2016ના રોજ બ્રહ્મલીન થતાં 17મી ઓગસ્ટે સાળંગપુર ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સાળંગપુરમાં જ્યાં પ્રમુખસ્વામીની અંત્યેષ્ટિ કરવામાં આવી હતી તે સ્થળે હવે તેમનું સ્મૃતિ મંદિર બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં દૂર દૂરથી હરિભક્તો સેવા આપવા માટે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રમુખસ્વામી મહારાજે જ તેમના અંત્યેષ્ટિના સ્થળને અંતિમ વિધિ માટે પસંદ કર્યું હતું. મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ અને સ્મૃતિમંદિરમાં બિરાજતા ગુરૂ શાસ્ત્રીજી મહારાજની અખંડ દ્રષ્ટિ રહે તે રીતે બંને મંદિરના કાટખૂણે આવેલા સ્થળે બાપાની વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમ વિધિ થઈ હતી.