અમદાવાદમાં આજથી ક્રૂઝની સફર માણી શકાશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદની જાહેર જનતા માટે બોટિંગ તેમજ વોટર સ્પોર્ટ્સની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે જ હવે રિવરફ્રન્ટ પર સહેલાણીઓ આજથી રિવર ક્રૂઝની મજા માણી શકશે.


આ ક્રૂઝનો કોરોના વાયરસના કારણે સેનિટાઈઝ કરાયા બાદ જ બીજીવાર ઉપયોગમાં લેવામાં આવશે. આ ફૂલ AC ક્રૂઝમાં એક સાથે 60 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. હાલ રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં એક પોઇન્ટ વલ્લભ સદન અને બીજો પોઇન્ટ ઉસ્માનપુરા નજીક શરૂ કરવામાં આવ્યો છે. બોટિંગ સેવાને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

સ્પેનથી ખાસ મંગાવવામાં આવેલી ક્રુઝબોટ આગામી સમયમાં સાબરમતી નદીમાં દોડાવવામાં આવશે. 20 મિનિટના 200 રૂપિયા લેખે આ ક્રુઝબોટ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ નદીમાં ખુલ્લી મુકાશે.

ગોવાથી ખાસ કેપટનને આ ક્રુઝના ઓપરેટિંગ માટે બોલાવવામાં આવ્યા છે. આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે નાગરિકો અંદર જન્મદિવસની ઉજવણી અને અન્ય પ્રસંગોની ઉજવણી કરી શકશે.

ક્રુઝબોટ સવારના 9 થી રાતના 9 કલાક સુધી ચલાવવામાં આવશે. ક્રુઝબોટની મુસાફરી હાલ સુધી મુંબઇ ગોવા બેંગ્લોર જેવા શહેરોમાં દોડાવવામાં આવી રહી છે. આગામી સમયમાં અમદાવાદમાં પણ ક્રુઝબોટની સંખ્યા વધારવામાં આવશે.