અમદાવાદઃ કોરોનાના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલને નહી યોજવાનો નિર્ણય લીધો છે. મળતી જાણકારી અનુસાર ઓમિક્રોનના સંકટ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ કાંકરિયા કાર્નિવલને ચાલુ વર્ષે પણ રદ કરી દીધો છે. નોંધનીય છે કે દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના નવા વેરિઅન્ટના સંકટને ધ્યાનમાં રાખીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે.


જોકે, અમદાવાદ મહાનગરપાલિકાએ જાન્યુઆરીમાં ફ્લાવર શો યોજવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો જાન્યુઆરીમાં કોરોના સંક્રમણ કાબૂમાં હશે તો 1થી 14 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે.


 


પ્રવાસી શિક્ષકોની ભરતી કરશે ગુજરાત સરકાર


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી હતી. જીતુ વાઘાણીએ કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી અટકેલી ફાઇલોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. અલગ અલગ વિભાગની નાણાં વિભાગ સાથે બજેટ અંગે બેઠક કરશે.


જીતુ વાઘાણીએ કહ્યું કે પ્રવાસી શિક્ષકો અંગેની પણ મંજૂરી આપવામાં આવી છે. 27 હજાર રૂપિયાની મર્યાદામાં પ્રવાસી શિક્ષકોની નિમણૂંક આપવામાં આવશે. દિવસના છ તાસ પરંતુ 27 હજાર રૂપિયાનો પગાર ન વધે તે મુજબ નિમણૂક કરાશે. તેમણે કહ્યું કે આવતીકાલે મુખ્યમંત્રી મુંબઇ જશે. તેઓ સાંજે મુંબઇમાં રોડ શો કરશે. ત્યારબાદ આઠ અને નવ ડિસેમ્બરના રોજ દુબઇ જશે.  દુબઈમાં પણ વાઇબ્રન્ટ સમિટ માટે ઉદ્યોગકારોને મળશે. UAEના ફોરેન મંત્રી સાથે મુલાકાત કરશે. 9  ડિસેમ્બરે  CM અબુધાબી જશે.


વાઘાણીએ કહ્યું કે રાજસ્થાનના મંત્રીએ પાણી સંબંધે વાત કરી છે. અમે કોઈને પાણી નહિ આપીએ તેવી વાત રાજસ્થાનના મંત્રીએ કરી છે. રાજ્ય રાજ્ય વચ્ચે વૈમનસ્ય ઊભો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. ગુજરાત વર્ષોથી રાજસ્થાનને પાણી આપે છે.  559 કરોડ રૂપિયા ગુજરાત સરકારે લેવાના બાકી નીકળે છે. વાયબ્રન્ટ સમિટમાં આવનારા લોકો માટે પણ કોરોનાની માર્ગદર્શિકા લાગુ પડશે. માત્ર 12 દેશો જ નહિ પરંતુ તમામ વિદેશી મહેમાનોએ માર્ગદર્શિકા લાગુ પડશે. વાયબ્રન્ટ સમિટમાં આવનાર તમામ મહેમાનોને માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.