Ahmedabad News: અમદાવાદમાં ફરી એકવાર રોગચાળો વકર્યો છે, ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યાં છે. શહેરમાં ઠંડીનો ચમકારો શરૂ થતાંની સાથે જ શહેરમાં રોગચાળાનુ પ્રમાણ સતત વધ્યુ છે. તાજા રિપોર્ટ પ્રમાણે, અમદાવાદમાં મેલેરિયા, વાયરલ ફિવર, ઝાડા-ઉલટી અને ટાઇફોડના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
અમદાવાદમાં રાત્રિના સમયમાં અતિશય ઠંડી પડી રહી છે, તો બપોરના સમયે ગરમીનો પ્રકોપ યથાવત છે. આવી બેવડી ઋતુના કારણે શહેરમાં રોગચાળા ફાટી નીકળ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, અમદાવાદ શહેરમાં અત્યારે ચાલુ મહિનામાં મેલેરિયાના 103 કેસ નોંધાયા છે, તો વળી, ડેન્ગ્યૂના 62 કેસો, ઝાડા-ઉલટીના 210 કેસો, ટાઇફોઇડના 164 કેસ અને કમળાના 99 કેસો નોંધાયા ખળભળાટ મચી ગયો છે. ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UHC અને CHC સેન્ટરમાં રોજના 1500 જેટલા વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાઈ રહ્યા છે. શરદી, ઉધરસ અને તાવના વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધવામાં આવી રહ્યા છે. ચાલુ નવેમ્બર માસમાં 1 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી મચ્છરજન્ય કેસોમાં સાદા મેલેરિયાના 41 કેસ, ડેન્ગ્યુના 61 કેસ અને ઝેરી મેલેરિયાના 32 કેસ નોંધાયા છે. તદુપરાંત ઝાડા-ઉલ્ટીના 210 કેસ, ટાઈફોઈડના 259 કેસ અને કમળાના 99 કેસ નોંધાયા છે. બેવડી ઋતુના કારણે શહેરમાં રોજ વાયરલ ઇન્ફેક્શનના નવા 1500 કેસ સામે નોંધાઈ રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટર, કોર્પોરેશન હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં વાઇરલ દર્દીઓની સંખ્યા વધી છે. ચાલુ વર્ષના કેસની વાત કરીએ તો સાદા મેલેરિયાના 888 કેસ, ઝેરી મેલેરિયાના 193 કેસ, ડેન્ગ્યુના 1501 કેસ અને ચિકનગુનિયાના 17 કેસ નોંધાયા છે. પાણીજન્ય કેસની વાત કરીએ તો ઝાડા ઉલટીના 5810 કેસ, કમળાના 2958 કેસ, ટાઈફોઈડના 3963 કેસ અને કોલેરાના 104 કેસ નોંધાયા છે.