અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસો અને મૃત્યુઆંકમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની ખાનગી હોસ્પિટલોના બેડ ફુલ થઈ રહ્યા છે. અમદાવાદમાં હવે માત્ર 14 વેન્ટિલેટર જ ખાલી છે.


અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 1994 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 41 હજારથી વધુ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે. એક્ટિવ કેસોની સંખ્યા ખાનગી હોસ્પિટલોના દર્દીઓની સંખ્યા કરતા પણ ઓછી દેખાડવામાં આવી રહી છે.

પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 1430 છે. તો પૂર્વ પટ્ટાના મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં 1309 એક્ટિવ કેસની સંખ્યા છે. ખાનગી હોસ્પિટલોના 3182 બેડમાંથી 2845 બેડ ભરાયેલા છે. જ્યારે કોવિડ સેંટરોમાં 71 દર્દીઓ છે આ બંન્ને મળીને 2916 થાય છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14889 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 189420 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 14803 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 208278 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1451 દર્દી સાજા થયા હતા અને 68,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 77,59,739 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે.