અમદાવાદ: રાજ્યમાં અધિકારીઓના ઘમંડના કિસ્સા તો તમે ઘણા જોયા હશે, પરંતુ નિવૃત અધિકારીઓના પુત્ર પણ ઘમંડમાં રાચે છે જેનું ઉદાહરણ અમદાવાદમાં સામે આવ્યું છે. રાજપથ કલબ રોડ ઉપર આવેલી એરોન સ્પેક્ટ્રા નામના બિલ્ડિંગમાં 605 નંબરના એકમ ધરાવતા પૂર્વ કમિશનર રજનીકાંત ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠીએ amc ની ટીમ ઉપર હુમલો કર્યો. 


મૂળ ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલા આશિષ ત્રિપાઠીનો ત્રણ વર્ષથી વધુનો 71 હજારનો ટેકસ બાકી હતો જેના કારણે બે વખત નોટિસ આપ્યા બાદ પણ તેમના તરફથી ભરપાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે ઈજનેર વિભાગની ટીમો સીલ કરવા પહોંચી હતી. સવારે 10.30 કલાકના અરસામાં સીલ કરવા ગયેલ ટીમ પૈકી રાકેશ ભગોરા અને યોગેશ્વરી ડોડીયા નામના બે કર્મચારીઓ ઉપર કાચના ગ્લાસ અને છરી વડે હુમલો કર્યો હતો. ઘટનાના ફૂટેજ જાહેર થયા બાદ ઈજનેર વિભાગના બંને કર્મચારીઓ બોડકદેવ પોલીસ સ્ટેશન ફરિયાદ માટે પહોંચ્યા જ્યાં આરોપી આશિષ ત્રિપાઠીને નજર કેદ કરવામાં આવ્યો છે.


મંદિરે દર્શન કરી પરત ફરતી મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવતા ચકચાર


મુંદ્રાના ગુંદાલા ગામે ભેદી સંજોગોમાં મૃત મળેલી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા બાદ બાવળના ઝાડમાં ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જે અંતરગત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દુષ્કર્મ અને હત્યાનો ઘટસ્ફોટ થતાં પંથકમાં આક્રોશ અને અરેરાટી મચી ગઈ છે. બુધવારે સવારે રતાડિયાની વૃધ્ધ મહિલા ગુંદાલા ગામે રામાપીર મંદિરે દર્શન કરવા આવી હતી. મંદિરે દર્શન કરીને બપોરે સાડા બારના અરસામાં વૃધ્ધ મહિલા પરત રતાડિયા જવા નીકળી ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈકચાલકે વૃધ્ધાને લિફ્ટ આપી અપહરણ કર્યું હતું.


મુંદ્રાના ગુંદાલામાં બનેલ દુષ્કર્મ અને હત્યાના બનાવ માટે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપી વૃધ્ધાને ગુંદાલાની સીમમાં નિર્જન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યારબાદ તેણે દુષ્કર્મ અને હત્યા જેવા જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ભુજના નારાણપર ગામે રહેતાં ૨૫ વર્ષિય સચિન નામના યુવકની મોડી રાત્રે ધરપકડ કરી હતી. સચિન બુધવારે બાઈક પર ફાચરીયામાં માતાજીના મંદિરે આવ્યો હતો અને પરત ફરતી વેળાએ એકલી વૃધ્ધાને લિફ્ટના બહાને બાઈક ૫૨ બેસાડી લઈ જઈ આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પરિણીત છે પરંતુ તેની પત્ની ઘણાં સમયથી રીસામણે બેઠેલી છે. સચિને તેના ગમછાથી નાક-મોઢું દબાવીને વૃધ્ધાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ઈપીકો કલમ ૩૬૩ (અપહરણ), ૩૭૬-એ (દુષ્કર્મ) અને ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો દાખલ કરી ધ૨પકડ કરી છે.