અમદાવાદઃ રાજ્યની સ્કૂલોમાં ધોરણ 3થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે લેવાનારી એકમ કસોટી મુદ્દે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્કૂલોમાં એકમ કસોટી 10 ઓગસ્ટ  સુધી લેવાની છૂટ  આપી છે અને હવે વાલીઓએ પેપરો આપવા પણ જવું નહીં પડે. પેપરો ઘરે પહોંચાડવા માટે ડિજિટલ વિકલ્પ અપાશે.


આ પહેલાં 29 જુલાઈ અને 30 જુલાઈએ  ધોરણ 3થી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવા આદેશ થયો હતો.  જો કે શૈક્ષણિક મંડળો દ્વારા પરીક્ષા મોકૂફીની માંગ સાથે એકમ કસોટીનો વિરોધ થતાં રાજ્ય સરકારે નમતું જોખીને નિર્ણય બદલ્યો છે.

રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, 'હોમ લર્નિંગ' બાદ ધોરણ 3થી દોરણ 12ના વિદ્યાર્થીઓની એકમ પરીક્ષા લેવાશે અને કોરોના સંકટ વચ્ચે બાળકો ઘરે બેસીને જવાબો લખશે. સરકારે જણાવ્યું હતું કે,  શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઘરે જઈને પ્રશ્નપત્રો પહોંચાડયા છે અને  25 માર્કસના પાંચ પ્રશ્નો પૂછાશે. જૂન મહિનાથી 'હોમ લર્નિંગ ' નાં ભાગરૂપે વિધાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ આપવામાં આવી રહયુ છે તેનાં મૂલ્યાંકનરૂપે આ પરીક્ષા લેવામાં આવી રહી છે.

આ એકમ કસોટી માટે સરકારી શાળાઓનાં વિધાર્થીઓને શિક્ષકો મારફત દરેક વિધાર્થીઓને પ્રશ્નપત્રો અને ઉતરવહી ઘરે પહોંચાડવામાં આવી છે જયારે ખાનગી શાળાઓનાં વિધાર્થીઓને સોફટ કોપી આપવામાં આવી છે. 29 જુલાઈ અને 30 જુલાઈ એમ બે દિવસ દરમિયાન વિધાર્થીઓ આ કસોટીનાં જવાબો ઘરે બેસીને લખશે અને ત્યારબાદ 1 ઓગ્સટછી વિધાર્થીઓ પાસેથી ઉતરવહીઓ કલેકટ કરી લેવામાં આવશે. એક વિષયનાં પાંચ - પાંચ માર્કસનાં પાંચ પ્રશ્નો આપવામાં આવ્યા છે. હવે રાજ્ય સરકારે 10 ઓગસ્ટ સુધી પરીક્ષા લેવાની છૂટ આપતાં વિદ્યાર્થીઓને રાહત થઈ છે.