અમદાવાદમાં રિવરફ્રન્ટ પર  ફ્લાવર શો ચાલી રહ્યો છે આ દરમિયાન આજે  પતંગોત્સવ પણ યોજાશે, જેને લઇને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ રોડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફ્લાવર શો અને આજે પતંગોત્સવના કારણે  રિવરફ્રન્ટનો  રોડ આજે  બંધ રહેશે. મહોત્સવમાં આવતા લોકોને અગવડ ન પડે અને, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ નિર્ણય લીધે છે. રિવરફ્રન્ટ પર આ બંને મહોત્સવ ચાલતા હોવાથી અહીં આવતા લોકોના કારણે ટ્રાફિક વધી શકે છે. આ કારણે ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા માટે તેમજ વાહન ચાલકોને મુશ્કેલીને દૂર કરવા માટે આજના દિવસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોના વખાણ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, આ ફ્લાવર શો અદભૂત છે. અહીં નવા ભારતની વિકાસ યાત્રા ઝાંખી આકર્ષિત કરે છે.


રોજના 40 થી 45 હજાર લોકો લે છે મુલાકાત


અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024'નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના એક અઠવાડિયામાં જ 3.11 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે. બાળકો સહિત 4 લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે.  પ્રથમ સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. રોજના 45 હજારથી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે.


અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારના ફૂલો સુશોભિત કરવામાં આવ્યા છે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયાગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.