Gujarat Corona: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં 6 કેસ સાથે રાજ્યમાં નવા 12 કેસ નોંધાયા છે. આમ એક્ટિવ કેસનો આંકડો 44 પર પહોંચ્યો છે. જ્યારે દેશમાં કોરોનાના નવા 752 કેસ નોંધાયા છે અને ચારનાં મોત થયા છે. દેશમાં એક્વિટ કેસનો આંક 3400ને પાર કરી ગયો છે.


કોરોનાના કેસ વધતા અમદાવાદમાં એન્ટિજન ટેસ્ટ શરૂ. નવા વેરિએન્ટને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ બાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક થયું હતું. આજથી શહેરના 85 અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી. કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરાવી શકશે. પાછલા ચાર દિવસમાં અમદાવાદમાં 18થી વધુ કેસ નોંધાયા છે. નવરંગપુરા, પાલડી, નારણપુરા, સરખેજ અને થલતેજના 15થી 60 વર્ષના નાગરિકનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.


 






 વિશ્વભરમાં લાખો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારીએ ભારતમાં ફરી એકવાર ચિંતા વધારી છે. વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતા આ દેશમાં દર કલાકે ઓછામાં ઓછા 26 થી 27 લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જેના કારણે ફરી એકવાર ભયનું વાતાવરણ સર્જાયું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર,  છેલ્લા 24 કલાકની અંદર કોવિડ -19 ના 752 નવા કેસ નોંધાયા છે. આના કારણે દેશભરમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 3,420 થઈ ગઈ છે.  આ ઉપરાતં કેરળમાં 2, રાજસ્થાન અને કર્ણાટકમાં 1-1 મળી કુલ 4 લોકોના મોત થયા છે.


કોરોનાએ ફરી એકવાર દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક મહિનામાં સમગ્ર વિશ્વમાં કોરોનાના 8.5 લાખ નવા કેસ નોંધાયા છે. WHOએ કહ્યું કે, છેલ્લા ચાર અઠવાડિયામાં કોરોનાના કેસમાં 52%નો વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO અનુસાર, ચાર અઠવાડિયામાં સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે 3 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 28 દિવસની સરખામણીએ આ ચાર અઠવાડિયામાં મૃત્યુમાં પણ 8%નો વધારો થયો છે. 17 ડિસેમ્બર સુધીમાં વિશ્વભરમાં 77 કરોડથી વધુ કેસ નોંધાયા છે.


કોરોનાનું નવું સબ-વેરિયન્ટ JN.1 ચિંતા વધારે છે


કોરોનાના નવા પ્રકાર, JN.1ને કારણે સૌથી મોટી ચિંતા વધી રહી છે. ચેપમાં આ વધારો JN.1 ના કારણે હોવાનું માનવામાં આવે છે, જે કોવિડના ઓમિક્રોન પ્રકારનો વંશ છે. તેનો પ્રથમ સેમ્પલ 25 ઓગસ્ટ 2023ના રોજ લેવામાં આવ્યો હતો. કેરળમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટથી સંક્રમિત એક દર્દી મળી આવ્યો છે. જો કે, દેશના અન્ય ભાગોમાં હજુ સુધી આ ચેપની પુષ્ટિ થઈ નથી.