અમદાવાદના આ વિસ્તારમાં એક સાથે કોરોનાના 50 કેસો આવતાં ખળભળાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2020 12:30 PM (IST)
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં 100માંથી 50 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો. હજુ ટેસ્ટિંગ પછી વધી શકે છે.
અમદાવાદઃ દિવાળી પછી શહેરમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે આજે અમદાવાદના ઘાટલોડીયા પ્રભાત ચોક વિસ્તારમાં લોકોએ કોરોનાનો ટેસ્ટ કરાવવા લાઈન લગાવી હતી. અત્યાર સુધી આ વિસ્તારમાં 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકીના 50 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જોકે ગઈ કાલે આ વિસ્તારમાં ૨૫થી ૩૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અહીં રોજના દોઢસો લોકોનું ટેસ્ટિંગ થતું હોય છે. જોકે તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આ કોરોનાની બીજી લહેરની શરૂઆત થઇ હોય તેવું લાગ્યું છે પણ લોકો જાગૃત થયા છે. પોતાના સ્વાસ્થ્ય અંગે અને એટલા જ માટે જ્યાં કોરોના સેન્ટર હોય ત્યાં ટેસ્ટિંગ કરવા માટે લોકો લાઈનમાં ઊભા રહેતા હોય છે. નોંધનીય છે કે, આજની તારીખે અમદાવાદમાં કોરોનાના કુલ 2845 એક્ટિવ કેસ છે. સૌથી વધુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 477 એક્ટિવ કેસ , બીજા નંબરે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 452 એક્ટિવ કેસ, ત્રીજા નંબરે પશ્ચિમ ઝોનમાં 446 એક્ટિવ કેસ, ચોથા નંબરે દક્ષિણ ઝોનમાં 427 એક્ટિવ કેસ, પાંચમા નંબરે પૂર્વ ઝોનમાં 398 એક્ટિવ કેસ , છઠ્ઠા નંબરે ઉત્તર ઝોનમાં 371 એક્ટિવ કેસ અને સૌથી ઓછા મધ્ય ઝોનમાં 274 એક્ટિવ કેસ છે.