Gujarat Assembly Elections: હિમાચલ પ્રદેશની ચૂંટણી તારીખ જાહેર થયા બાદ હવે ગુજરાતની ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે. હવે આ કડીમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાએ ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ તા.8 ડીસેમ્બરે આવશે તેવું નિવેદન અજય મિશ્રા ટેનીએ આપ્યું છે. અંકલેશ્વરમાં યોજાયેલ એક જનસભામાં તેમણે કહ્યું કે, 8 ડિસેમ્બરે ગુજરાતમાં ઇતિહાસ રચાશે.


તો બીજી તરફ કન્દ્રીય ચૂ્ંટણીપંચના 4 ઉચ્ચ અધિકારીઓની ટીમ આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવશે. નાયબ ચૂંટણી કમીશ્નર સહિતના અધિકારીઓ ગુજરાતના ચારેય ઝોનમાં બેઠકો કરશે. ચારેય ઝોનમાં ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ઈલેકશન કમીશ્નરને રિપોર્ટ રજુ કરશે. કેન્દ્રીય ઈલેકશન કમીશનનું ડેલીગેશન 21 તારીખે સવારે દિલ્લી પરત ફરી ચૂંટણીની તૈયારી અંગેનો છેલ્લો રિપોર્ટ ઈલેકશન કમીશનને સબમીટ કરશે.


21 તારીખે રિપોર્ટ સબમીટ થતાં જ ગુજરાતમાં ચૂંટણીના કાર્યક્રમને આખરી ઓપ અપાશે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત 22, 23 ઓક્ટોબર અથવા દિવાળી પછી એટલે કે 27,28 ઓક્ટોબરે જાહેર થઈ શકે છે. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પ્રથમ તબક્કાનું તો બીજા તબ્બકાનું મતદાન ડિસેમ્બરના પહેલા અઠવાડિયમાં થાય તેવી સંભાવના છે. હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પણ પરિણામ જાહેર થઈ શકે છે.


PM મોદી ફરી આવશે ગુજરાતની મુલાકાતે


વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી ભાજપના ગઢ રાજકોટમાં સભા કરવાનમા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19મીએ રાજકોટ આવવાના છે. 6 હજાર કરોડના લોકાર્પણ કાર્યક્રમો યોજવામાં આવશે. ત્રણ ઓવરબ્રિજ, લાઈટ હાઉસ હાઉસીંગ પ્રોજેકટનું લોકાર્પણ થશે. એરપોર્ટથી રેસકોર્સ સભા મંડપ સુધી રોડ શો કરવાના છે. રેસકોર્સમાં 1.5 લાખ લોકો એકત્ર કરવાનો અંદાજ છે. મેયર બંગલાને પણ શણગારવામાં આવ્યો. રેસકોર્સ ફરતે રોશનીથી ઝળહળાટ થશે. મનપા,જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપના અગ્રણી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 


કેજરીવાલ આવતી કાલે ફરી આવશે ગુજરાત, ક્યાં ક્યાં ગજવશે સભા?


આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17મી ઓક્ટોબરે ભાવનગર, મહેસાણા અને ડીસામાં જનસભાને સંબોધિત કરશે. 









રાજકોટઃ રાજકોટ કડવા પાટીદારોનું સંમેલન મળશે. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ ખાતે સંમેલન મળશે. સિદસર ઉમિયા ધામ ખાતે 2024માં ઉમિયા માતાના પ્રાગટ્ય ને 125 વર્ષ પૂર્ણ થશે. મહોત્સવનું આયોજન કરવા અંગે ચર્ચા વિચારણા માટે સંમેલન મળશે. સંમેલનમાં સૌરાષ્ટ્રભરના કડવા પાટીદારો હાજર રહેશે. બપોરે 1:30 કલાકે સંમેલન મળશે. જો કે 2024ના મહોત્સવ અંગેનું સંમેલન દોઢ વર્ષ પૂર્વે બોલાવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. સંમેલનના નામે કડવા પાટીદારો નું વધુ એક શક્તિ પ્રદર્શન! તાજેતરમાં જુનાગઢ ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના કડવા પાટીદારોનું સંમેલન બોલાવ્યું હતું.