અમદાવાદઃ કલમ 370 રદ કર્યા બાદ ગૃહમંત્રી અમિત સાહ પ્રથમ વખત બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ આવશે. પ્રદેશ નેતૃત્વ, શહેર સંગઠન, ચૂંટાયેલા ધારાસભ્યો, કાઉન્સીલરશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેન, સભ્યો તેમજ ગાંધીનગર લોકસભાના તમામ બુથના કાર્યકરો તેમનું સ્વાગત અભિવાદન કરશે. જો કે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના નિધનની દુખદાયી ઘટના ને ધ્યાનમાં રાખી તેમનું સાદગીપૂર્ણ સ્વાગત થશે.


ઉલ્લેખનીય છે કે, શનિવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું નિધન થઇ ગયુ હતુ. રવિવારે દિલ્હીના નિગમ બોધઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યાં હતા.

અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારની ચર્ચા કરી શકે છે. આ સિવાય ગાંધીનગર સાંસદ તરીકેની જ્યાં તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોમાં ભાગ લેશે. પોતાના મતવિસ્તારમાં યોજનાઓના અમલીકરણ અને નાગરીકોને લાભ મળે તે મુદ્દાઓ પર ચર્ચા થશે. દેશની સૌ પ્રથમ બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક બસનું પણ લોકાર્પણ કરશે. 29મીએ બપોરે 3 કલાકે ગાંધીનગર કલેક્ટર સાથે ભારત સરકારની યોજનાઓને લઇને ચર્ચા કરશે.