અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે ગાઈડલાઈન બહાર પાડી તેના સંદર્ભમાં ગુજરાત સરકારે અનલૉક 4ની મંગળવારે રાત્રે માર્ગદર્શિકા જાહેર કરી છે.


આ માર્ગદર્શિકા પ્રમાણે અનલૉક-4માં એટલે કે આગામી 30 સપ્ટેમ્બર સુધી તમામ મલ્ટિપ્લેક્સ, સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક કે પછી થિયેટર ખોલવાની છૂટ આપવામાં આવી નથી. માત્ર ને માત્ર ઓપન એૅર થિયેટર ખોલવાની છૂટ આપવામાં આવી છે. આઠમી જૂનથી અમલમાં મૂકવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રમાણે શોપિંગ મૉલ ખોલવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત દુકાન ખોલવા અંગે મૂકાયેલાં તમામ નિયંત્રણો ઉઠાવીને સમય મર્યાદા દૂર કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની શરત સાથે ખાનગી ઑફિસોને પણ તેમનાં કામકાજ 1 સપ્ટેમ્બરથી ચાલુ કરી દેવાની છૂટ આપવામાં આવી છે. તેમને વર્ક ફ્રોમ હોમના કલ્ચરને પ્રોત્સાહન આપવાની સૂચના આપવામાં આવી છે.