અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાની સમીક્ષા માટે આજે  અધિક મુખ્ય સચિવ ડો.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર, વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર, હેલ્થના ડે. મ્યુનિસિપલ કમિશ્નર, આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


અમદાવાદ શહેરમાં કુલ 390 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન છે. જે પૈકી આજે 15 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે નવા 16 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા હતા. ઓઢવના આગમન પાર્કના 217 મકાનના 1180 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં આજે 3400થી વધુ લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા.  શહેરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરના ચેકીંગના પગલે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળની વસ્તીમાં વધારો થયો છે. બોડકદેવ સ્થિત Itc કંપનીની કન્સ્ટ્રકશન સાઈટ પર 250 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. જ્યારે થલતેજ સ્થિત PSP પેલેડીયમ કન્ટ્રક્શન સાઈટ પર 300 શ્રમિકોની વસ્તી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરાઈ હતી.



ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  આજે અત્યાર સુધીના સૌથી વધુ 1310 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3036 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,796  એક્ટિવ કેસ છે, જ્યારે 78,913 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 92 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,704 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 97,745 પર પહોંચી છે.