અમદાવાદ: ગૃહિણી માટે રાહતના સમાચાર છે. શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. તમામ શાકભાજીમાં 40% નો ઘટાડો થતા ગૃહિણીઓને હાશકારો થયો છે. છેલ્લા કેટલાય સમયથી ટામેટાનો ભાવ 160 -180 હતો જે 100 રૂપિયે કિલો મળી રહ્યા છે. મોટાભાગના શાકભાજીમાં 20 થી 40 રૂપિયાનો ઘટાડો થયો છે. શાકભાજીની આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો થયો છે.


કેટલો થયો ઘટાડો


ટામેટાના ભાવ 160 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને રૂ. 100, કોબીજના ભાવ 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા, ફ્લાવરના 120 રૂપિયાના 100 રૂપિયા, રીંગણના 80 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા, લીંબુના 60 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા, ગુવારના 120 રૂપિયાથી ઘટીને 100 રૂપિયા, મરચાના 120 રૂપિયાથી ઘટીને 60 રૂપિયા થયા છે. જ્યારે કોથમીરના ભાવ 100 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા, કારેલાના ભાવ 100 રૂપિયાથી ઘટીને 80 રૂપિયા થયા છે.


દેશના મોટાભાગના ભાગના રાજ્યોમાં  ટામેટાં 150 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર ટામેટાંના ભાવને નીચે લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હવે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) ટામેટાંના ભાવ ઘટાડવા માટે એક ખાસ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી ટામેટાંના ભાવમાં ઘટાડો થશે.


નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) ટામેટાના ભાવને વધુ નીચે લાવવા માટે સપ્તાહના અંતમાં દિલ્હી નેશનલ કેપિટલ રિજન (NCR)માં લગભગ 60 ટન ટામેટાંનો નિકાલ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં નેપાળથી 10 ટન ટામેટાંની પણ આયાત કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, જુલાઈના છેલ્લા અઠવાડિયાથી ટામેટાંના ભાવ ફરી વધ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.


આ વર્ષે કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ટામેટાંની ખરીદી ખોરવાઈ ગઈ હતી અને પરિણામે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી. 23 જુલાઈના રોજ રિટેલ માર્કેટમાં ટામેટાની  સરેરાશ કિંમત ઘટીને રૂ. 116.73 પ્રતિ કિલો થઈ ગઈ હતી અને 24 જુલાઈથી ફરી વધવા લાગી હતી. સરકારી આંકડા મુજબ 11 ઓગસ્ટે ટામેટાની કિંમત 124.43 રૂપિયા પ્રતિ કિલો હતી.


NCCFના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ પહેલા તેઓ દિલ્હી NCRમાં 70 વાન તૈનાત કરવાની યોજના બનાવી રહ્યા છે અને સામાન્ય 10 થી 15 ટનની સામે એક સપ્તાહમાં લગભગ 60 ટન ટામેટાં વેચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ નેપાળથી આયાત કરાયેલા ટામેટાં લખનૌ, કાનપુર અને વારાણસીના બજારોમાં પણ મોકલવામાં આવશે.


સમગ્ર દેશમાં ટામેટાંના ભાવ વધવાનું મુખ્ય કારણ પુરવઠામાં વિક્ષેપ છે. હિમાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદે ટામેટાના પાકને નષ્ટ કરી દીધો છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાક નાશ પામ્યો છે, જેના કારણે પુરવઠાને અસર થઈ છે. જો કે કર્ણાટકમાં તેનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ થવાનો અંદાજ છે.