અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ગાયબ થયેલી વૃષ્ટી અને શિવમની તપાસમાં જોડાયેલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે. વૃષ્ટી ગાયબ થઈ ત્યાર બાદ સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો હતો અને તેને શોધવા માટે ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને લોકોને અપીલ કરી હતી.

આ હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘે ક્રાઈમ બ્રાન્ચને જોડી હતી. આખરે ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સપોર્ટથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ઓપરેશન કરી શોધી કાઢ્યા છે. થોડા દિવસો પહેલાં જ વૃષ્ટીએ તેની માતાને એક ઈ-મેલ કરીને કહ્યું હતું કે ‘મારી ચિંતા ન કરશો મને નોકરી મળી ગઈ છે.’

વૃષ્ટીએ ઈ-મેલમાં લખ્યું હતું, ‘હેલ્લો મોમ, તમે મારી ખૂબ ચિંતા કરી રહ્યા છો, તેનો સૌ પહેલા હું માફી માંગું છું. આવું કરવાનો મારો કોઈ ઈરાદો ન હતો. તમને દુઃખ પહોંચ્યું છે તેની હું માફી માંગું છું.
વધુમાં તેણે લખ્યું હતું કે, એવી અમુક વસ્તુ હતી જેની સાથે હું રહી શકું તેમ ન હતી. તમે જ્યારે ગયા હતા ત્યારે મને એક ખૂબ આધ્યાત્મિક અનુભવ થયો હતો, આ વાત મેં તમને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અનુભવને કારણે મારે આવું પગલું ભરવું પડ્યું છે. હું તમને ઇ-મેલ કરીને કહેવા માંગું છું કે હું એકદમ બરાબર છું. મને નોકરી મળી ગઈ છે. મારા દરેક પગલે પપ્પાનો મને સાથ છે.

મા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર છે કે મારા ઘર છોડી જવાથી તમને ખૂબ દુઃખ થયું છે. પરંતુ મને ખબર છે કે એક દિવસ તમે આ વાત સમજી શકશો.

ક્રાઈમ બ્રાન્ચે વૃષ્ટીના ઈ-મેલના આઈ.પી એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટી કેમેરા ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.