અમદાવાદઃ ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે યુએન મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના રિપોર્ટ આવવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરીષદ યોજી હતી અને તેમના સ્વાસ્થ્યને લઈને વાત કરી હતી. આ સમયે પત્રકારો દ્વારા મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપાશે તે અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેનો જવાબ આપતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોઈ ચાર્જ આપવાનો પ્રશ્ન નથી. મુખ્યમંત્રીશ્રી પોતે જેમની સાથે વાતચીત કરવી હોય, જેમને સૂચના આપવી હોય કે જેની સાથે પરામર્શ કરવો હોય એમની સાથે મોબાઇલ ફોન દ્વારા સંપર્કમાં રહેશે જ. સવારે પણ મેં એમની સાથે વાતચીત કરી છે.

તેમણે ઉમેર્યું હુતં કે, અમારે જ્યારે જરૂર પડે ત્યારે અમારા સિનિયર નેતાઓ, અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વગેરે એમની સાથે વાતચીત કરે છે. માન્ય વડાપ્રધાનશ્રીએ પણ એમના ખબર-અંતર પૂછ્યા છે. એટલે અમારી રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રાદેશિક નેતાગીરી તેમના સંપર્કમાં છે. મુખ્ય સચિવથી લઈને અન્ય અધિકારીઓ અને મુખ્યમંત્રીના સ્ટાફના સિનિયર અધિકારીઓ પણ જરૂર પડે મોબાઇલ ઉપર એમની પાસેથી માર્ગદર્શન મેળવે છે અને કાર્યવાહી કરે છે. એટલે કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.