અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘર કંકાસમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ વિસ્તારમાં  પતિએ પત્નિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે.  રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં જ  આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ ડીસીમીસના ઘા ઝીંકી  પત્નીને મોતનો ઘાટ ઉતારી હતી. 


આ ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ એક્ટિવ થઇ અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી  હતી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા અને હત્યાના કારણો શોધવા કવાયત હાથ ધરી છે.


નાની મોટી બાબતે ઝઘડા અને ઘરકંકાસ થતો


મૃતક કુરેશાબાનુ અને આરોપી અહેઝાજ અકબર અલી મુળ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના મુસાફીર તાલુકાના નેહાલપુર ગામના વતની છે. સામાજિક રીત રિવાજ મુજબ પંદર વર્ષ અગાઉ બંનેના લગ્ન થયા હતા. તેમના લગ્ન જીવનથી તેમને કુલ ચાર સંતાનો છે. જેમાં બે દિકરા અને બે દિકરીઓનો સમાવેશ થાય છે. જ્યારથી લગ્ન થયા ત્યારથી કુરેશા બાનુ અને એહેઝાજ અકબર અલી વચ્ચે નાની મોટી બાબતે ઝઘડા અને ઘરકંકાસ થતો હતો. આરોપી મૃતક કુરેશાબાનુને માર પણ મારતો હતો.  


આરોપી અહેઝાજ અકબર અલી મૃતક કુરેશાબાનુને અવાર નવાર માર મારતો. બંને વચ્ચેના ઝઘડા વધી જતાં અને કુરેશાબાનુને તેના પતિના મારથી બચાવવા કુરેશ બાનુના ભાઇઓએ તેમને અમદાવાદ ખાતે સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો હતો. ચાર ભાઇઓએ ભેગા મળી રામોલ વિસ્તારમાં શાલીમારની ચાલીમાં મકાન અપાવ્યુ હતું. તેમજ જીવન નિર્વાહ ચલાવવા માટે રીક્ષા ભાડે અપાવી હતી. આરોપી દિવસે રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો. જોકે રાત્રે ઘરે પહોંચ્ચા બાદ પતિ-પત્ની વચ્ચેના ઝઘડા ચાલુ જ રહેતા હતા. જેમાં  5મી તારીખે રાત્રિના પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને 6 તારીખે વહેલી સવારે આરોપીએ પોતાની પત્નીને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી.


પત્નીની હત્યા કર્યા બાદ આરોપી રીક્ષા લઇ ફરાર થઈ ગયો હતો.  જો કે ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ એક્ટિવ થઇ હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી હતી. પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા અને હત્યાના કારણો શોધવા કવાયત હાથ ધરી છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial