અમદાવાદઃ શહેરની નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા. આ ચકચારી આગની ઘટનામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની કામગીરી ખૂબ જ વખાણવા લાયક રહી હતી. જેમણે પોતાના જીવની પરવાહ કર્યા વગર કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને આગમાંથી ઉગાર્યા હતા.


આ આગકાંડમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSI કે.એમ. પરમારની કામગીરી પણ બિરદાવા લાયક છે. આગની ઘટનામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા psi કે. એમ. પરમારે 41 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. PPE કીટ પહેર્યા વગર જ નીડર મહિલા psiએ લોકોના જીવ બચાવ્યા છે. નવરંગપુરા પોલીસે હોસ્પિટલમાં હાજર કર્મીઓ સહિત 8 લોકોના નિવેદન લેવાની કામગીરી પૂર્ણ કરી દીધી છે.

મહિલા પીએસઆઇએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાંથી લોકો બચાવો બચાવોની ચીસો પડતા હતા. અમે સીધા ઉપર જઈને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અમે ધુમાડો વધુ હોવાથી અંદર ન જઇ શક્યા. આ પછી ફાયર બ્રિગેડ અને હોસ્પિટલના સ્ટાફની મદદથી થર્ડ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર જે પેશન્ટ હતા, તેમને ગ્રાઉન્ડ ફ્લોર પર લાવ્યા. 41 પેશનન્ટ બચાવ્યા હતા. જે રીતે હોસ્પિટલના કાચમાંથી લોકો બચાવો બચાવોની બુમો પાડી રહ્યા હતા કે, મને ન લાગ્યું કે મારે પીપીઇ કીટ પહેરવામાં ટાઇમ વેસ્ટ કરવો જોઇએ. એટલે અમે સીધા ઉપર જ જતા રહ્યા હતા. અમારી ફરજ હતી, એટલે અમે આ કામ કર્યું.

જોકે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના આ આઠ પોલીસકર્મીઓને હાલ, તો હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. બચાવકાર્યમાં જોડાયા પછી પોલીસકર્મીઓને કોરોનાના લક્ષણો દેખાતા તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં આગ લાગ્યા પછી બચાવ્યા હતા.