અમદાવાદઃ અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટનામાં બચાવકામગીરીમાં જોડાયેલા 8 પોલીસકર્મીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. બચાવકાર્યમાં જોડાયા પછી પોલીસકર્મીઓને કોરોનાના લક્ષણો દેખાતા તેમને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પોલીસકર્મીઓએ કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં આગ લાગ્યા પછી બચાવ્યા હતા.


બીજી તરફ શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના પછી તપાસ શરૂ કરવામાં આવી છે. આજે સવારે એએમસી અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે શ્રેય હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે સોલિડ વેસ્ટની ટીમ પણ ત્યાં પહોંચી હતી. જોકે, પોલીસકર્મીઓ હોમ ક્વોરેન્ટાઇન થતાં તપાસ ધીમી પડી શકે છે.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા psiની કામગીરી બિરદાવા લાયક છે. આગની ઘટનામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા psi કે.એમ.પરમારે 41 જેટલા લોકોના જીવ બચાવ્યા હતા. PPE કીટ પહેર્યા વગર જ નીડર મહિલા psiએ લોકોના જીવ બચાવ્યા છે.

નોંધનીય છે કે, આ દુર્ઘટના પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. તેમજ તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી હતી. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી હતી.