આણંદ: એક તરફ સંતાન માટે લોકો પથ્થર એટલા દેવ પુંજતા હોય છે ત્યારે બીજી તરફ શિક્ષણ નગરી વિદ્યાનગરમાં એક નિષ્ઠુર માતાએ નવજાત શિશુને ત્યજી દેતા નગરમાં નિષ્ઠુર માતા પ્રત્યે ધિક્કારની લાગણી પ્રસરી જવા પામી છે. 


કચરા પેટીમાંથી એક રાહદારીને બાળકના રડવાનો અવાજ આવ્યો


વિદ્યાનગર શિક્ષણ નગરી તરીકે જાણીતું છે ત્યારે આજે વહેલી સવારે ઇસ્કોન મંદિર પાછળ આવેલ જાહેર બગીચા પાસે મુકેલી કચરા પેટીમાંથી એક રાહદારીને બાળકના રડવાનો અવાજ આવતા કચરા પેટીમાં નજર કરતા એક નવજાત શિશુ રાહદારીને નજરે પડતા તેમણે 108ની ટીમને જાણ કરતા 108ની ટીમે નવજાત શિશુ અંગે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા ત્યાં નવજાત શિશુની શારીરિક ચકાસણી કરી તેને સંપૂર્ણ સ્વસ્થ જાહેર કરવામાં આવ્યું હતું.


તો બીજી તરફ ઘટનાની જાણ આણંદ સાંસદને થતા તેઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને નવજાત શિશુની ભાળ મેળવી હતી. આ સાથે જિલ્લાના પાંચ ધારાસભ્યો અને સાંસદએ આ બાળકીની સંપૂર્ણ ખર્ચ અને દેખભાળની જવાબદારી ઉપાડી લીધી છે.


મહિલા કર્મચારીઓ દ્વારા આ બાળકીનું નામ "દુર્ગા " રાખવા માં આવ્યું


બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા બાદ અહીંની મહિલા કર્મચારીઓ દ્વારા આ બાળકીનું નામ "દુર્ગા " રાખવા માં આવ્યું છે કારણ કે આ બાળકી 5 દિવસની છે અને શક્તિની ઉપાસનાના પવન પર્વ નવરાત્રીમાં આ બાળકીનો જન્મ થયો છે જેને લઈ મહિલા કર્મચારીઓ તેને દુર્ગા ના નામ થી બોલાવી રહી છે.  જો કે, સૌથી મોટો સવાલ એ પણ છે કે, નવજાત આખરે માતાએ કેમ ત્યજી દીધી. આ અંગે અનેક અટકળો સેવાઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર માહિતી સામે આવી નથી.


પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી હાલ શક્યતા


ઘટના બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા વિદ્યાનગર પોલીસને એક્ટિવ કરી વિવિધ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ચેક કરવા આદેશ આપ્યા છે અને બાળકીની માતાની શોધખોળ કરવા આદેશ આપવામાં આવ્યા છે. હાલ પોલીસની વિવિધ ટીમો શહેરના સીસીટીવી ચેક કરી રહી છે. પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવે તેવી હાલ શક્યતાઓ સેવાઇ રહી છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial