Anand: ચૂંટણીની અદાવતમાં આણંદના બોરસદમાં ભાજપના કાર્યકર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મોડી રાતે લાકડી લઇ 5 હુમલાખોરો ભાજપનું કામ કેમ કર્યું તેમ કહી ચંદ્રેશ પટેલ નામના ભાજપના કાર્યકર પર તૂટી પડ્યાં હતા. પપ્પુ રબારી નામના શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાથ તથા પગમાં 10થી વધુ ફ્રેક્ચર થયા છે. હાલ હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં


ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના ધારાસભ્યોએ ગઈકાલથી ચાર્જ સંભાળી લીધો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ એકશન મોડમાં આવ્યા છે. તેમણે મંત્રીમંડળના સભ્યોને 100 દિવસનો રોડ મેડ બનાવવા અને વિભાગની કામગીરીમાં સંકલ્પ પત્રની જોગવાઈઓને પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલનો પહેલો સ્ટેજ કાર્યક્રમ પાટીદારોની મહત્વની સંસ્થા સરદાર ધામમાં યોજાયો હતો. વૈષ્ણોદેવી અંડર પાસ લોકાર્પણ કાર્યક્રમ બાદ સીએમ સરદારધામ પહોંચ્યા હતા. જેમાં તેમણે કહ્યું ધાર્યા કરતા પરિણામ સારું આવ્યું એટલે વધારે જોશ આવે, હવે જવાબદારી પણ ડબલ છે. લોકોએ વિશ્વાસ કાયમ રાખ્યો છે એ હજુ કાયમ રહે તે કામ કરવાનું છે, જો એસપી રીંગ રોડ ન બન્યા હોત તો શું થાત ? હવે એસપી રીંગ રોડ પર પણ બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. અમિત ભાઈ મોટી જવાબદારી હોવા છતાં એમના મત વિસ્તારની ચિંતા કરી રહ્યા છે. મારો પહેલો કાર્યક્રમ સરદારધામ અને વલ્લભભાઈના ચરણોમાં થઈ રહ્યો છે એનો પણ મને આનંદ છે.


PM મોદીએ ગુજરાતમાં ભાજપની ભવ્ય જીતનો શ્રેય કોને આપ્યો ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને  4 સીટ મળી હતી. ગુજરાતમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેની હાલ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય દળની બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી જીતને લઈ મોટી વાત કરી.


શું કહ્યું પીએમ મોદીએ


વડાપ્રધાને જણાવ્યું, ખરા અર્થમાં કોઈને જીતનો શ્રેય આપવો હોય તો ગુજરાતના મુખ્યમંત્રી, સી.આર.પાટીલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આપવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના તે તમામ કાર્યકરોને આવકારવા જોઈએ જેમના અથાક પ્રયાસોથી સંગઠનમાં ઘણું કામ થયું છે. ગુજરાતમાં પાર્ટી વારંવાર સંગઠન શક્તિના કારણે જીતી રહી છે. આ સાથે જ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને એક થવા અને G20ની તૈયારીમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાની અપીલ પણ કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે પણ ભાજપ સંસદીય દળની બેઠકમાં અર્થવ્યવસ્થા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું