આણંદઃ આણંદ જિલ્લામાં બનેલી ચોંકાવનારી ઘટનામાં યુવકની પત્નિ તથા ભત્રીજીએ જ પ્રેમીઓ સાથે મળીને હત્યા કરાવી છે. યુવકની પત્નિને અન્ય યુવક સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. યુવકની ભત્રીજીને પણ બીજા યુવક સાથે સંબંધો હતા. યુવક તેમાં અવરોધરૂપ લાગતાં પત્નિ તથા ભત્રીજીએ પોતાના પ્રેમીઓ સાથે મળીને યુવકની હત્યા કરી નાંખી છે.


ભાદરણ પોલીસ મથકની હદમાં મોટી શેરડી ગામથી ધનાવશી ગામનાં રોડ પરથી ગત મંગળવારે ધુવારણના યુવક ગુલાબસિંહ ચંદુભાઈ ગોહીલની ગળે ટૂંપો આપી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા મૃતક ગુલાબસિંહની પત્ની દક્ષા તેમજ તેની ભત્રીજીને અન્ય યુવક સાથે સંબંધ હોવાની માહિતી મળી હતી. પોલીસે દક્ષાબેનનાં પ્રેમી કંકાપુરાનાં અર્જુનભાઈ ઉર્ફે અજીતપ્રભાત સિંહ પરમાર અને મૃતકની ભત્રીજીનાં પ્રેમી ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પરમારને ઝડપી પૂછપરછ કરતા બંનેએ સાગરીતો સાથે મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

ગુલાબસિંહની પત્નીને અર્જુન સાથે સંબંધો બંધાયા હતા ને બંને રંગરેલિયાં મનાવતા હતા પણ તેમાં પતિ ગુલાબસિંહ અવરોધરૂપ હતો. ગુલાબસિંહની ભત્રીજી સાથે ધનશ્યામને પ્રેમસંબધ હતો. આ પ્રેમસંબધમાં પણ ગુલાબસિંહ નડતરરૂપ હતો.

ગુલાબસિંહને પોતાની પત્ની દક્ષાને અર્જુન સાથે સંબધ હોવાની જાણ થતા તેણે પત્ની દક્ષાને ઠપકો આપ્યો હતો. ભત્રીજીનાં પ્રેમસંબધની જાણ થતાં ગુલાબસિંહે તાત્કાલીક ભત્રીજીની સગાઈ અન્ય સ્થળે કરી દેતાં અર્જુન અને ઘનશ્યામે દક્ષા સાથે મળીને દક્ષા તથા ભત્રીજી સાથે મળીને ગુલાબસિંહની હત્યા કરવાની યોજના બનાવી હતી.

આ યોજના અનુસાર દક્ષા ગુલાબસિંહને બદલપુર ગામે લઈને આવી હતી. ત્યાંથી ગુલાબસિંહને રીક્ષામાં બેસાડીને અર્જુન તેમજ ઘનશ્યામે પોતાનાં માસીયાઈ ભાઈ કુલદિપસિંહ ઉર્ફે કુદો અને મિત્રો ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા અને લાલજીભાઈ અરવિંદભાઈ ઉર્ફે અનુભાઈને બોલાવી લીધા હતા. તેઓ ફરતા ફરતા છીણપુરા સીમમાં ગયા હતા અને પછી ગુલાબસિંહને પકડીને દોરડી વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ત્યાર બાદ ગુલાબસિંહની લાશને ગંભીરા નદીમાં ફેંકી દેવા રીક્ષા લઈને નિકળ્યા હતા પરંતુ પકડાઈ જવાની બીક લાગતા તેઓ મોટી શેરડી ગામથી ધનાવસી રોડ પર તળાવડી પાસે લાશને ફેંકીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે આ બનાવમાં અર્જુનભાઇ ઉર્ફે અજીત પ્રભાતસિંહ પરમાર, ઘનશ્યામભાઇ ભાઇલાલભાઇ પરમાર, કુલદિપસિંહ ઉર્ફે કુદો દિલીપસિંહ પરમાર, લાલજીભાઇ અરવિંદભાઇ ઉર્ફેઅનુભાઇ પરમાર, દક્ષાબેન ગુલાબસિંહ ચંદુભાઇ પરમારને ઝડપી પાડયા હતા. ધર્મેન્દ્રસિંહ અમરસિંહ સિંધા, ખોડુભાઇ પ્રભાતસિંહ પરમારને પકડાવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.