INDIA Alliance Meet: આમ આદમી પાર્ટી (AAP)ના પ્રવક્તાએ અરવિંદ કેજરીવાલને  પ્રધાનમંત્રી મોદી સામે ચેલેન્જર  ગણાવ્યા અને કહ્યું કે તેઓ સતત લોકોના મુદ્દા ઉઠાવે છે.


મુંબઈમાં ઇંન્ડિયા  (I.N.D.I.A.) ગઠબંધનની બેઠક પહેલા, આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને PM પદના ઉમેદવાર બનાવવાની માંગ કરવામાં આવી છે. AAPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું, "જો તમે મને પૂછો તો હું ઈચ્છું છું કે, અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન પદના ઉમેદવાર બને."


વડા પ્રધાન પદ માટે સીએમ કેજરીવાલની ઉમેદવારીની તરફેણમાં દલીલ કરતા, AAP પ્રવક્તાએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આટલી કમરતોડ  મોંઘવારીમાં પણ મોંઘવારી  સૌથી ઓછી છે. મફત પાણી, મફત શિક્ષણ, મફત વીજળી, મહિલાઓ અને વરિષ્ઠ માટે મફત બસ યાત્રા છતાં સરપ્લસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે."                                             


AAP પ્રવક્તાએ કેજરીવાલને ગણાવ્યા ચેલેન્જર


કક્કરે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સતત લોકોના મુદ્દા ઉઠાવે છે અને વડાપ્રધાન મોદીની સામે પડકારરૂપ બનીને ઉભરી આવ્યા છે. તેમની ડિગ્રીની વાત હોય કે અન્ય કોઈ બાબત, અરવિંદ કેજરીવાલ સ્પષ્ટ પ્રવક્તા બનીને મુદ્દાને ઉઠાવે છે.                                         


'PM મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી'


AAP પ્રવક્તાએ કહ્યું, "વડાપ્રધાન મોદી પાસે આર્થિક દ્રષ્ટિ નથી. અહીં મેન્યુફેક્ચરિંગ માઈનસ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલના વિઝન હેઠળ ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે. લાઈસન્સ રાજનો અંત આવશે. ઉદ્યોગપતિઓને બિઝનેસ કરવાની સારી તકો મળશે.  શિક્ષણ એટલું સારૂ બનશે કે બાળકો આવિષ્કાર કરવાનું વિચારશે. વિદેશથી લોકો કરોડોનો ખર્ચ કરીને ભારત આવશે. લોકો ભારતમાં ડોલર ખર્ચીને ભણવા આવશે. અમે એક  બસ એક આવું ભારત ઇચ્છીએ"