ભાવનગર:  શહેરમાં એક સાથે 250 લોકોએ ધર્મપરિવર્તન કરતા ખળભળાટ મચી ગયો છે. આ તમામ લોકોએ હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે. દલિત પરિવારોએ ભાવનગર ખાતે બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી છે. આજે બૌદ્ધ ધર્મ દીક્ષા મહોત્સવ કાર્યક્રમમાં ધર્મ પરિવર્તન કર્યું. થોડા દિવસો પહેલા ધર્મપરિવર્તનની જિલ્લા કલેક્ટરને લેખિત માંગણી કરી હતી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી હોય આ પહેલા પણ ઘણા લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.


 બે વર્ષના બાળકને ઉપાડી ગયો દીપડો


છોટાઉદેપુર: બોડેલી તાલુકાના મુલધરની સીમમાં દીપડાના હુમલામાં બાળકનું મોત થયું છે. કેળના ખેતરમાં પોતાના પરિવાર સાથે બેઠા હતા તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. ખેતરમાં બે વર્ષનું બાળક તેના ભાઈ ખોળામાં રમતું હતું તે દરમિયાન અચાનક ભાઈના ખોળામાં રમી રહેલા બાળકને દીપડો ખેચીને લઈ ગયો. પરિવારના સભ્યોએ બુમા બૂમ કરતા ગામ લોકો દોડી આવ્યા અને બાળકને લઈ ગયેલ દીપડાની શોધખોળ આદરી હતી. ગામ લોકો લાકડીઓ સાથે ખેતરોમાં શોધખોળ કરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો. જોકે, ત્યા સુધીમાં સાહિલ નામનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેસતને લઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખેતરોમાં જતા ડરી રહ્યા છે. આ માનવભક્ષી દીપડો વહેલી તકે પકડાઈ તેવી માગ લોકો કરી રહ્યા છે. 


ATS ને પેપર લીકની પહેલાં જ પડી ગઈ હતી ખબર


ATS Press Conference: જુનિયાર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર ગુજરાતના ઉમેદવારો અને તેમના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. લાખો લોકોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ આરોપીઓને લઈને ગુજરાત એટીએસે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી છે. પેપર લીક મુદ્દે એટીએસ અધિકારી સુનીલ જોશીએ કહ્યું કે,  જે આરોપીઓ પકડાયા છે તે પહેલા પણ પકડાયેલ છે. અમે તેમના પર વોચ રાખી હતી. બાતમીનાં આધારે ટીમની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ અમારી ટીમ વડોદરા પહોંચી હતી અને સ્થળ ઉપરથી ૧૫ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.


અમે પેપરના ફોટોને લઈને તમામની ચકાસણી કરી હતી. ગુજરાતના લોકોને જીત નાયક દ્વારા પેપરની કોપી આપવામાં આવી હતી. જીત નાયકને હાલ અમદાવાદમાં લઇ આવવાની તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ ગુજરાતના રાજ બારોટ(અરવલ્લી), પ્રણય શર્મા(અમદાવાદ), હાર્દિક શર્મા(સાબરકાંઠા) અને નરેશ મોહંતી (સુરત) સહિતના લોકો આ કૌભાંડમાં સામેલ છે. એટીએસએ કહ્યું કે,  ગુજરાત પોલીસની તમામ યુનિટ SOG, ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ કાર્યરત હતી. અમે જુના આરોપીઓને સર્વેલન્સ કરતા હતા. કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી ઉપર અમે વોચ રાખી હતી. અગાઉ જે જિલ્લાઓમાં કેસ થયા હતા ત્યાં પણ અમે નજર રાખી હતી. અમને ખાનગી માહિતી મળી હતી કે પ્રદીપ નાયક ભાસ્કર અને કેતનને બરોડા ખાતે પેપર આપનાર હતો. જો કે, પેપરની વહેંચણી થાય તે પહેલા જ અમે આરોપીઓને પકડી પાડ્યા હતા. પેપર કબજે કર્યા બાદ ખરાઈ કરી તે બાદ સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો.