ભાવનગરઃ લોકડાઉન 4માં છૂટછાટ અપાતા હવે લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે મોટા શહેરમાંથી નાના શહેર અને ગામડામાં જતા લોકોને કારણે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ભાવનગરમાં પણ અમદાવાદથી આવેલ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.


મળતી માહિતી મુજબ, ભાવનગરમાં 22 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. આ યુવક નિરમા કંપનીમાં કામ કરતો હતો. યુવાન અમદાવાદથી મુસાફરી કરી ભાવનગર પરત ફર્યો હતો. યુવકમાં કોરોનાના લક્ષણ દેખાતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ ભાવનગરમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 119એ પહોંચી જ્યારે અત્યાર સુધીમાં કોરોનાને કારણે જિલ્લામાં 8 લોકોના મોત થયા છે. સારા સમાચાર એ છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં 91 લોકો રિકવર થયા છે. જિલ્લામાં કુલ 5088 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલમાં જિલ્લામાં કુલ 42333 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.

26મેના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 27 લોકોનાં મોત થયા છે. આજે કોરોનાથી અમદાવાદમાં 23, ખેડા, પંચમહાલ,પાટણ અને સુરતમાં 1-1 મોત થયું છે.

અત્યાર સુધીમાં કુલ 7137 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 189313 ટેસ્ટ થયા જેમાંથી 14829 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.