Bhavnagar: છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચિત બનેલા ભાવનગરના પીંગળી ડબલ મર્ડર કેસ મામલે હવે પોલીસ એક્શનમાં આવી છે, આ મર્ડર કેસનું રહસ્ય સતત ઘેરાઇ રહ્યું છે, ત્યારે પોલીસે આ મામલે તપાસને આગળ ધપાવીને આરોપીએને પકડવા માટે SITની રચના કરી છે. 


મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના પીંગળી ગામે થયેલા ડબલ મર્ડર કેસમાં આજે આઈ.જી દ્વારા SITની રચના કરવામાં આવી છે. અહીં 20 દિવસ પહેલા આધેડ પતિ-પત્નીની ક્રૂરતાપૂર્વક 40 જેટલા ઘા મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી, પરંતુ પોલીસને આજદિન સુધી આ મર્ડર કેસ મામલે એક પણ કડી મળી શકી નથી, હવે આ કેસમાં આરોપીઓને શોધી કાઢવા માટે આઇ.જીએ એસ.આઇ.ટીની રચના કરી છે. આ કેસમાં પોલીસ સતત તપાસ કરી રહી છે, પરંતુ આરોપીઓને હજુ સુધી કોઇ અત્તોપત્તો મળી શક્યો નથી. આ ડબલ મર્ડર ઘટનામાં શીવાભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડ પોતાના ઘરે હતા તે દરમિયાન જ તેમની હત્યા કરવામાં આવી હતી, આ ઘટના બાદ આ નાનકડા પીંગળી ગામ ચર્ચામાં આવ્યુ હતુ, હજુ પણ આ ડબલ મર્ડર કેસનું રહસ્ય ઘેરાઇ રહ્યું છે. 


તળાજાના પીંગળી ગામે દંપતિની હત્યાથી મચ્યો હતો ખળભળાટ 


ભાવનગર, તળાજા તાલુકાના પીંગળી ગામે દંપતિની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પીંગળી ગામમાં ડબલ મર્ડરની ઘટના બનતી ચકચાર મચી ગઈ છે.  ચોરીના ઈરાદે આવેલા શખ્સોએ બેવડી હત્યા કરી હોવાનું અનુમાન છે.  પીંગળી ગામે રહેતા રાઠોડ શિવાભાઈ મોતીભાઈ અને તેમના પત્ની વસંતબેન રાઠોડની હત્યા કરવામાં આવી હતી. 




બે દિવસ પહેલા પીંગળી ગામે ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો.  એ સમયે હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે.  હાલ ડબલ મર્ડરને લઇ તળાજા પોલીસ અને ભાવનગર LCB સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.  ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામે રહેતા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉ.વ.52 તથા તેમના પત્ની વસંતબેન શિવાભાઈ રાઠોડ ઉ.વ.48ની તેમના ઘરે ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી પતિ-પત્નીની હત્યા કરી હતી. આ બનાવ લૂંટના ઈરાદે થયો હોવાની પણ આશંકા  છે. જો કે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને તપાસ શરુ કરી છે.