Dummy scam: યુવરાજસિંહ જાડેજા સામેના તોડકાંડના આરોપમાં મોટો ખુલાસો થયો છે. ભાવનગર પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.  યુવરાજસિંહ તોડકાંડની રકમમાંથી પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. ગાંધીનગર જિલ્લાના દેહગામમાં યુવરાજસિંહ પોતાના નામે પ્રોપર્ટી ખરીદવાના હતા તેવો પોલીસનો દાવો છે. પ્રોપર્ટી ખરીદવા માટે યુવરાજસિંહ જાડેજાએ સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. યુવરાજસિંહ જાડેજાએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીધું હોવાનો પોલીસે દાવો કર્યો છે.  12મી એપ્રિલના રોજ યુવરાજસિંહે સ્ટેમ્પ પેપર ખરીદ્યું હતું. ભાવનગર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.


આજે યુવરાજસિંહ જાડેજાના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરાશે


ભાવનગર તોડકાંડ પ્રકરણમાં આજે યુવરાજસિંહ જાડેજાના ફરી રિમાન્ડ માંગવામાં આવશે. એ.ડિવિઝન નીલમબાગ પોલીસ મથકમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત છ વિરુદ્ધ એક કરોડની ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. 21 એપ્રિલનાં રોજ યુવરાસિંહની ભાવનગર પોલીસે તોડકાંડમાં ધરપકડ કરી હતી. 22 એપ્રિલનાં રોજ યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજું કરતા સાત દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આજે પુરા થયા છે. એક કરોડની ખડણી મામલે પોલીસે અત્યાર સુધીમાં 76 લાખ 50 હજાર રિકવર કર્યા છે. આજે બપોરે બાદ યુવરાજસિંહ જાડેજાને ફરી વખત કોર્ટમાં રજૂ કરવામાં આવશે જ્યાં તેમના રિમાન્ડ માટેની પોલીસ માંગ કરશે.


ભાવનગરમાં ડમીકાંડમાં વધુ પાંચ આરોપીઓ કરાઇ અટકાયત


ડમીકાંડમાં સીટ દ્ધારા વધુ પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ગોપાલ લાધવા, ઈકબાલ લોંડીયા, હનીફ લોંડીયા, પ્રવીણ સોલંકી, જીતેન્દ્રસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરવામાં આવેલા પાંચેય શખ્સોની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પકડાયેલા ઇસમોની પૂછપરછ દરમિયાન ડમીકાંડમાં કોને કેટલા રૂપિયા આપ્યા ? કોનાં કહેવાથી નોકરીનું સેટિંગ કર્યું હતું ? તે તપાસ દરમિયાન બહાર આવશે.


તો આ તરફ ભાવનગર તોડકાંડમાં સામેલ બીપીન ત્રિવેદીને આખરે સરકારી શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બીપીન ત્રિવેદી ભાવનગર શહેરની સરકારી શાળા નંબર 38માં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બીપીન ત્રિવેદીએ વીડિયો વાયરલ કરીને ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર અમુક ઉમેદવારોના નામ ન જાહેર કરવા માટે રૂપિયાનું સેટલમેન્ટ કર્યાનો આરોપ લગાવ્યો હતો.


યુવરાજસિંહના સમર્થનમાં આવ્યો રાજપૂત સમાજ


 ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ મામલે રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગઈ કાલે ડમીકાંડ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ આજે વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત, સંજય સોલંકી,અને મહેશ ચૌહાણને જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.