રાજ્યના વધુ એક જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગપેસારો થયો છે. ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. મહુવાના ગુંદરણા ગામે મરઘાનો બર્ડ ફ્લૂ પોઝિટીવ આવ્યો છે. થોડા દિવસ પહેલા ગુંદરણા ગામે એક પછી એક મરઘાના ટપોટપ મૃત્યુ થયા હતા.


મરઘાના મોતથી પશુપાલન વિભાગ એલર્ટ બન્યો અને તાત્કાલિક મૃતક મરઘાના સેમ્પલો લઈ પરીક્ષણમાં ભોપાલ સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જ્યાં આજે બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બર્ડ ફ્લુનો રિપોર્ટ પોઝિટીવ આવતા તાત્કાલિક 1 કિમીની ત્રિજિયા વિસ્તારમાં આવન-જાવન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 9 જિલ્લામાં બર્ડ ફ્લૂનો પગપેસારો થઈ ચૂક્યો છે. ભાવનગર અગાઉ ગીર સોમનાથ, સુરત, વલસાડ, વડોદરા, નવસારી, ડાંગ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો નોંધાઈ ચૂક્યા છે.