રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભાવનગર જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી કરવા ગયેલા અને ભીડભાડવાળી જગ્યાથી આવતા લોકોનો રેપિડ ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે.


કલેકટરે તમામ જનસેવા કેંદ્ર પર રેપિડ ટેસ્ટ શરૂ કરવા આદેશ કર્યો છે. કલેકટરે સંક્રમિત લોકો વધુ લોકોને સંક્રમિત ન કરે તે માટે જનતાને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. આગામી 10 દિવસ સુધી જિલ્લાના તમામ જનસેવા કેંદ્ર પર ટેસ્ટ કરવામાં આવશે.

તો રેપિડ ટેસ્ટમાં પોઝિટીવ આવનારા દર્દીઓને જરૂર જણાય તો તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવાના પણ આદેશ કર્યા છે.

નોંધનીય છે કે, દિવાળીના વેકેશનમાં ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા એક હજાર 281 પોઝિટીવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 207, સુરતમાં 181,વડોદરામાં 104, રાજકોટમાં 96, જામનગરમાં 17, ભાવનગરમાં 12, જૂનાગઢમાં 11 અને ગાંધીનગર શહેરમાં કોરોનાના નવા 38 પોઝિટીવ કેસ નોંધાયા છે.