તૌક્તે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે તબાહી મચાવી છે.  ખાસ કરીને તૌક્તે વાવાઝોડાના કારણે  સૌરાષ્ટ્રમાં વધારે નુકસાન થયું છે.  અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં વીજ પુરવઠ્ઠો ખોરવાઇ ગયો છે. જેના કારણે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જો કે સ્થાનિક તંત્રને મદદ માટે ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી સરકાર દ્વારા તંત્રના અન્ય કર્મચારીઓને મોકલવામાં આવી રહ્યા છે.


430 જેટલા અધિકારી/કર્મચારીઓ જરૂરિયાત મુજબનો માલસામાન તથા વાહનો સાથે આજ રોજ સુરતથી રો-રો ફેરી મારફતે ધોઘા-ભાવનગર ખાતે પહોંચી ગયેલ છે.તેઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને વીજપુરવઠો પુનઃ ચાલુ કરવાની કામગીરી હાથ ધરાશે.


દક્ષિણ ગુજરાત વિજ કંપનીની 30 ટીમોના 430 વીજ કર્મચારીઓ સાથે સવારે હજીરાથી ઘોઘા (ભાવનગર) રો-રો ફેરી મારફતે રવાના થઇ હતી. ખાસ ટીમો 40 વાહનો અને પોલ ઇરેક્શન મશીન્સથી સજ્જ છે. 300 વીજ કર્મચારીઓ રસ્તા દ્વારા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠ્ઠો પુન:સ્થાપિત કરવાના કાર્યમાં જોડાશે. DGVCL ની આ 40 ટીમોમાં ડેપ્યુટી એન્જીનિયરો, જુનિયર એન્જીનિયરો, હેલ્પર સહિતનો કોન્ટ્રાક્ટ આધારિત સ્ટાફ સહિત કુલ 400 થી વધારે વીજ કર્મચારીઓ સૌરાષ્ટ્રની PGVCL કંપની વિસ્તારમાં અસરગ્રસ્ત થયેલા જિલ્લાઓમાં ઝડપથી વીજ પુરવઠ્ઠો પુન: સ્થાપિત કરવા માટે મદદરૂપ થશે.  



ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકોને સત્વરે વીજ પુરવઠ્ઠો પુનસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોન્ટ્રાક્ટરોને કામ કરવાના 50 ટકાનો વધારો કરીને તે અનુસાર મહેનતાણું ચુકવણું કરવાનો ઉર્જા વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. વીજપુરવઠ્ઠો પુન:સ્થાપિત કરવા માટે પણ યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે.  


પ્રધાનમંત્રી  નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ 1 હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. 


મૃતકોના પરીજનોને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. વાવાઝોડામાં ઘાયલ થયેલા છે તેમને 50,000 રૂપિયાની મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા. તેમણે વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.


મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો.