ભાવનગર: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે. 


ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે.  અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.  


ગોંડલના કમઢિયા ગામ નજીક જોરદાર અકસ્માત, બે બાઈક અથડાતા બે મિત્રોનાં મોત


રાજકોટ જીલ્લાના  ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.  બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી. 


બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ  ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા તેમજ પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા યુવાનોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના અંગે સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.


અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત


રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.   અમદાવાદ-મોરબી હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ મહિલા સહિત 4 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.  


ધ્રાંગધ્રા પાસે હાઈવે પર વસાડવા ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી.  અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં  તુલસીભાઈ વાઘેલા, ઉમર વર્ષ 50નું મોત નિપજ્યું હતું.  ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા.