Bhavnagar News:  હાલમાં સમગ્ર રાજ્યમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિને લઈને ઘમાસાણ મચ્યું છે. ડમીકાંડને લઈને પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. તો બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લઈ નામ જાહેર ન કરવાનો આરોપ લાગ્યો છે. હવે આ મામલે યુવરાજ સિંહે પોતાની પર લાગેલા તમામ આરોપોને ફગાવ્યા છે. ભૂતકાળમાં અઢી કરોડ રૂપિયાની ઓફર થઈ હતી પણ કોઈની પાસેથી એક પણ રૂપિયો ન લીધો હોવાનો અને કોઈ નામ ન છુપાવ્યા હોવાનો પણ યુવરાજે દાવો કર્યો છે. અધિકારીઓને ડમી વિદ્યાર્થીઓ અને એજન્ટોના નામ આપ્યા હોવાની પણ યુવરાજ સિંહે ખુલાસો કર્યો છે.


 



યુવરાજે વધુમાં કહ્યું કે, બિપીન ત્રિવેદી સામાજિક એજન્ટ બનીને આવ્યા હતા. પોતાના સમાજને બચાવવા રાજકીય ષડયંત્રના ભાગરુપે મારા પર આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રદીપ,પીકે સહિતના એજન્ટો સાથે જાણકારી કઢાવવા હું મળ્યો હતો. એજન્ટોએ મને 40 લાખથી લઈ અઢી કરડો સુધીની ઓફર કરી હતી. લાભ લેવા માટે બિપીનભાઈ મધ્યસ્થી બન્યા હતા. જે મારા પરિવારને ધમકાવી શકે તે લોકો કોઈપણ હદે જઈ શકે છે. આ કિસ્સાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મને રાજકીય કદ વધારવામાં જરાય રસ નથી.


બિપિન ત્રિવેદી ભાવનગરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનો અને મિત્રતાના ભાવે સંપર્કમાં હોવાની યુવરાજ સિંહે વાત કરી છે. તો પી.કે વિકલાંગ હોવાની માહિતી આપી. સાથે જ પોતાની પાસે તમામ લોકોનો ઓડિયો હોવાનો યુવરાજ સિંહનો દાવો છે.


તમને જણાવી દઈએ કે, રાજ્યવ્યાપી ડમી કૌભાંડને લઇને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી ગયો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર ડમી કૌભાંડમાં નામ ન લેવા માટે 45 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો છે. 


 વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર જે પૈસાની લેતી દેતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. યુવરાજ પર આક્ષેપ કરનાર બિપીન ત્રિવેદી ભાવનગરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલી પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટયૂટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતો હતો. બિપીન ત્રિવેદીના આ પ્રકરણની જાણ ઇન્સ્ટિટયૂટના સંચાલકોને થતા આઠ દિવસ પહેલા જ બીપીન ત્રિવેદીને નોકરી પર ન આવવા માટે જણાવી દેવામાં આવ્યું હતું. પંકજ જોશી જે ઇન્સ્ટિટયૂટના માલિક છે તે ભાવનગર તળાજાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાના જમાઈ હોવાનું જાણવા મળ્યું છે.


તો બીજી તરફ વિડિયો વાયરલ કરનાર બિપીન ત્રિવેદી પોલીસની હાથવેંતમાં છે.  ટુંક સમયમાં પોલીસ બિપીન ત્રિવેદીની અટક કરી શકે છે. બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ જાડેજા પર પૈસા લીધાનો આરોપ લગાવ્યો છે. યુવરાજસિંહએ કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હોવાનો આરોપ લાગતા રાજકારણ ગરમાયું છે.