Bhiwandi Building Collapse: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડીમાં શનિવારે બે માળની ઇમારત ધરાશાયી થતાં એક બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને 12 લોકોને બચાવી લેવાયા હતા. હજુ પણ 10 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. મ્યુનિસિપલ બોડીના એક અધિકારીએ આ જાણકારી આપી.


મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.


થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે વર્ધમાન કમ્પાઉન્ડ, વાલપાડા, માનકોલીમાં બે માળની ઇમારત બપોરે લગભગ પોણા બે વાગે ધરાશાયી થઈ હતી.


10 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે


સાવંતે કહ્યું કે, ચાર પરિવારો બિલ્ડિંગના ઉપરના માળે રહેતા હતા, જ્યારે શ્રમિકો  ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા આઠ કલાકથી બચાવ કામગીરી ચાલી રહી છે અને મોડી સાંજે એક ડોગ સ્ક્વોડ અને બે અર્થ મૂવર્સ  લાગાવાયા હતા.


"સાડા ચાર વર્ષની બાળકી, એક 40 વર્ષીય પુરુષ અને 26 વર્ષીય મહિલાના મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે, "સાવંતે કહ્યું. આશંકા છે કે કાટમાળ નીચે હજુ પણ 10 લોકો દટાયા હોઇ શકે છે.


શિંદેએ રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી


મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. શિંદેએ પણ રાત્રે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.એક સરકારી રીલીઝ મુજબ, મુખ્યમંત્રીએ અધિકારીઓને સર્ચ અને રેસ્ક્યૂ  કામગીરીમાં સામેલ તમામ એજન્સીઓ વચ્ચે યોગ્ય સંકલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.


અગાઉ, અધિકારીઓએ જણાવ્યું હતું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો અને અગ્નિશામકો સહિત વિવિધ એજન્સીઓના કર્મચારીઓ બચાવ કામગીરીમાં સામેલ છે. વરિષ્ઠ અધિકારીઓ અને સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.           


Rajkot: રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા પતિ- પત્નીનું મોત


જેતપુરઃ જેતપુરમાં વીજ કરંટ લાગતા પતિ પત્નીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટના જેતપુરમાં વીજ કરંટ લાગતા દંપતીનું મોત થયું હતું. વરસાદના કારણે ઘરે લોખંડની સીડીમાં વીજ કરંટ લાગતા પતિ-પત્નીનું મોત થયું હતું. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમીનભાઇ હાસમભાઇ તરખેસા અને  રોશનબેન અમીનભાઇ તરખેસાનું વીજ કરંટ લાગતા મોત થયું હતું.
જેતપુર સીટી પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી હતી.


અન્ય એક ઘટનામાં ભાવનગર શહેરના બોર તળાવ બોટહાઉસ પાસે યુવક અને યુવતી પર વીજળી પડી હતી. એન.સી.સી ઓફિસ પાસે બનેલી આ ઘટનામાં યુવકનું વીજળી પડવાથી ઘટના સ્થળ પર મોત થયું જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે દાઝી જતા 108 દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. કચ્છના ભુજના લાખોદમાં વીજળી પડવાથી એકનું મોત થયું છે. ઝાડ નીચે ઉભેલા એક વ્યક્તિનું વીજળી પડવાથી મોત થયું હતુ.