નવી દિલ્લીઃ એપીએફ ખાતાધારકો મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. એપીએફઓ દ્વારા 18.34 કરોડ ખાતાધારકોના ખાતામાં વર્ષ 2020-21નું વ્યાજ 8.50 ટકા લેખે જમા કરાવ્યું છે. ઇપીએફઓ દ્વારા 22મી નવેમ્બરે ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. 






આ પહેલા 12મી નવેમ્બરે 6.47 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં એપીએફઓ દ્વારા 8.50 ટકા લેખે વ્યાજ જમા કરાવવામાં આવ્યું હતું. જેની પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવ્યું હતું. આમ, અત્યાર સુધીમાં અનેક ખાતાધારકોના એકાઉન્ટમાં વર્ષ 2020-21નું વ્યાજ જમા કરાવી દેવામાં આવ્યું છે. ખાતાધારકો પોતાના યુએન નંબરની મદદથી ઓનલાઇન પાસબૂક જોઇ શકે છે.






ઇપીએફઓએ નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદર 8.5 ટકા પર સ્થિર રાખ્યો છે. કોરોનાને લીધે સભ્યો દ્વારા વધારે પ્રમાણમાં ઉપાડ અને ઓછા પ્રદાનના લીધે આ નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, ઇપીએફઓએ માર્ચ 2019-20માં વ્યાજદર ઘટાડીને 8.5 ટકા કર્યો હતો. અગાઉ નાણાકીય વર્ષ 2018-19માં વ્યાજદર 8.65 ટકા હતો. આ પહેલા ઇપીએફઓએ 2017-18 માટે 8.55 ટકા વ્યાજ પૂરુ પાડયું હતું. 2016-17 માટે વ્યાજદર 8.65 ટકા હતો. 


તાજેતરમાં જ કોવિડ-19ના પગલે ઇપીએફઓના સભ્યોને ભંડોળમાંથી નોન-રિફંડેબલ એડવાન્સ પેટે રકમ ઉપાડવાની છૂટ આપી છે. માર્ચ 2020માં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાસ જોગવાઈ દ્વારા ઇપીએફના સભ્યોને તેમના છેલ્લા ત્રણ મહિનાના બેઝિક પે અને મોંઘવારી ભથ્થાંની રકમ કે પ્રોવિડન્ટ ફંડની રકમના ૭૫ ટકા રકમ બેમાંથી જે ઓછું હોય તેના ઉપાડની છૂટ આપી હતી. 


બીજી લહેર દરમિયાન ઇપીએફઓએ બીજું નોન-રિફંડેબલ કોવિડ-19 એડવાન્સ ઉપાડવાની છૂટ આપી હતી. કોરોનાના રોગચાળા દરમિયાન કુટુંબના સભ્યોની નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આ છૂટ અપાઈ હતી. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ-19ના મુશ્કેલ સમયમાં ઇપીએફઓ તેના હિસ્સેદારોને મદદ કરવા તૈયાર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2021માં જણાવ્યું હતું કે પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીના વર્ષે 2.5 લાખથી વધારે રકમના ફાળા પરનું વ્યાજ વેરાપાત્ર રહેશે. તેનો અમલ પહેલી એપ્રિલથી શરૂ થઈ ગયો છે.