RBI to Withdraw 2000 Rupees Notes : 2000 રૂપિયાની નોટને લઈને લાંબા સમયથી ચાલી રહેલી આશંકા આજે ત્યારે સાચી સાબિત થઈ જ્યારે ભારતીય રિઝર્વ બેંકે અચાનક 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય જાહેર કરી દીધો છે. આજે આરબીઆઈએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવા કહ્યું છે.


શું 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી છે?


જો કે, એવું કહી શકાય નહીં કે રૂ. 2000ની નોટો બંધ કરવામાં આવી છે. કારણ કે હવે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર એટલે કે માન્ય ચલણ રહેશે. RBIએ કહ્યું કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટો માન્ય ચલણ (સર્ક્યુલેશન) રહેશે. જેમની પાસે હાલમાં રૂ. 2000ની નોટ છે તેમણે તેને બેંકમાંથી બદલી આપવી પડશે.


ગયા વર્ષે  જ નવેમ્બરમાં એક RTI દ્વારા માહિતી મળી હતી કે, RBIએ બે વર્ષથી વધુ સમયથી રૂ. 2,000ની નોટો છાપી નથી. ઈકોનોમિક ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ પ્રિન્ટિંગે RTIના જવાબમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2016-17માં 2 હજાર રૂપિયાની 354 કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવી હતી. ત્યાર બાદ તેનું પ્રિન્ટિંગ ઝડપથી ઘટતું ગયું હતું. આગલા વર્ષે માત્ર 11 કરોડ રૂપિયા અને પછીના વર્ષે એટલે કે 2018-19માં માત્ર 4.5 કરોડ રૂપિયાની નોટો જ છપાઈ હતી. આ પછી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું.


છેલ્લી વખત 2000 રૂપિયાની નોટ ક્યારે છાપવામાં આવી હતી?


રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે વર્ષ 2018-19માં જ બે હજાર રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.


2000 રૂપિયાની નોટ વિશે જે મહત્વની બાબતો આરબીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવી છે તે નીચે મુજબ છે-


આરબીઆઈએ કહ્યું હતું કે, માર્ચ 2017માં 2000ની 89 ટકા નોટો જારી કરવામાં આવી હતી.


31 માર્ચ, 2023 સુધીમાં 2000 રૂપિયાની નોટોની કિંમત લગભગ 3.62 લાખ કરોડ રૂપિયા હતી.


3.62 લાખ કરોડ રૂપિયામાંથી માત્ર 10.8 ટકા નોટો જ ચલણમાં હતી.


2000 Notes : બેંકમાં રૂ. 2000ની નોટ બદલવા માટે RBIએ કરી ખાસ વ્યવસ્થા


ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. RBIએ 2016 ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે.


બેંકમાં નોટો બદલવા માટે ખાસ વિન્ડો


આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે. જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. એક અનુમાન મુજબ હાલમાં 3 લાખ 62 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.


ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.