Adani Succession: દેશના મોટા બિઝનેસ જૂથોમાં એક પેઢીથી બીજી પેઢીમાં નિયંત્રણનું ટ્રાન્સફર હંમેશા વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. રિલાયન્સથી લઈને ગોદરેજ અને કેકે મોદી ગૃપ સુધી ઘણા એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, જેમાં બિઝનેસ એમ્પાયર્સના વિભાજનને લગતા વિવાદો કૉર્ટ સુધી પહોંચ્યા છે, અને હેડલાઈન્સમાં પણ ચમક્યા છે. દેશના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણી પોતાના પરિવારમાં આવી વિવાદાસ્પદ પરિસ્થિતિને ટાળવા માટે પહેલેથી જ પ્લાન તૈયાર કરતા જોવા મળી રહ્યાં છે. 


8 વર્ષમાં રિટાયર થઇ જશે ગૌતમ અદાણી 
બ્લૂમબર્ગના અહેવાલમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જ્યારે તેઓ 70 વર્ષના થશે ત્યારે તેઓ નિવૃત્ત થવાનું વિચારી રહ્યાં છે. હાલમાં ગૌતમ અદાણીની ઉંમર 62 વર્ષની છે. એટલે કે તે આગામી 8 વર્ષમાં સક્રિય બિઝનેસમાંથી નિવૃત્ત થઈ શકે છે. ગૌતમ અદાણીની યોજના મુજબ, તેમના પછી ગૃપનું નેતૃત્વ કરવાની જવાબદારી તેમના પુત્રો અને ભત્રીજાઓના ખભા પર આવશે. આ ફેરફારનો અમલ 2030થી શરૂ થઈ શકે છે.


અત્યારે આ જવાબદારી સંભાળી રહ્યાં છે દીકરા અને ભત્રીજા
અહેવાલ મુજબ, ગૌતમ અદાણીની નિવૃત્તિ પછી અદાણી ગૃપનું લાખો કરોડનું બિઝનેસ સામ્રાજ્ય તેમના પુત્રો કરણ અદાણી અને જીત અદાણી અને ભત્રીજા પ્રણવ અદાણી અને સાગર અદાણી સંભાળશે. ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી હાલમાં અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે જીત અદાણી અદાણી એરપોર્ટનું કામકાજ સંભાળી રહ્યા છે. એ જ રીતે પ્રણવ અદાણી હાલમાં અદાણી એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર છે, જ્યારે સાગર અદાણીને અદાણી ગ્રીન એનર્જીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ મળ્યું છે.


દીકરા-ભત્રીજાને મળી શકે છે કારોબારની જવાબદારી 
બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૌતમ અદાણીની નિવૃત્તિ પછી ચારેય વારસદારોને ગૃપમાં સમાન જવાબદારી મળી શકે છે. તેમના પછી ગૃપના ચેરમેનની જવાબદારી તેમના મોટા પુત્ર કરણ અદાણી અથવા ભત્રીજા પ્રણવ અદાણીને મળી શકે છે. રિપોર્ટ અનુસાર, વારસાનું ટ્રાન્સફર અદાણી ફેમિલી ટ્રસ્ટ દ્વારા થઈ શકે છે. આ સંક્રમણ માટે ગોપનીય કરારનો ઉપયોગ કરી શકાય છે.


ઉત્તરાધિકારી પર ગૌતમ અદાણીનો મત 
ગૌતમ અદાણીના મતે, ધંધાને ટકાઉ બનાવવા માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તે બ્લૂમબર્ગને એક ઈન્ટરવ્યૂમાં કહે છે - ધંધાના ટકાઉપણું માટે ઉત્તરાધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આ નિર્ણય આગામી પેઢી પર છોડી રહ્યો છું. નેતૃત્વ પરિવર્તન ઓર્ગેનિક, ક્રમિક અને વ્યવસ્થિત હોવું જોઈએ.