bank complaint filing India: ઘણીવાર ગ્રાહકોને બેંકિંગ સેવાઓને લઈને અનેક ફરિયાદો હોય છે, પરંતુ બેંકના કર્મચારીઓ તેને ગંભીરતાથી લેતા નથી અથવા માત્ર આશ્વાસન આપીને ધક્કા ખવડાવે છે. જો તમે પણ આવી સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોની સુવિધા માટે 'કમ્પ્લેઈન મેનેજમેન્ટ સિસ્ટમ' (CMS) પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પર તમે ઘરે બેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો. અહીં નોંધાયેલી ફરિયાદ પર સીધી RBI ની નજર હોવાથી બેંકોએ તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું પડે છે.

Continues below advertisement

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ બેંકિંગ સેવાઓ સાથે જોડાયેલી છે, અને તેની સાથે સમસ્યાઓ આવવી પણ સામાન્ય બની ગઈ છે. ઘણીવાર એવું બને છે કે ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કપાઈ જાય, એટીએમમાંથી પૈસા ન નીકળે પણ એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જાય, અથવા લોન અને ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટમાં ભૂલો હોય. આવી સ્થિતિમાં સામાન્ય માણસ સૌથી પહેલા પોતાની બેંક શાખાનો સંપર્ક કરે છે. પરંતુ ઘણીવાર જોવા મળે છે કે ત્યાંના અધિકારીઓ યોગ્ય જવાબ આપતા નથી. ગ્રાહક વારંવાર રજૂઆતો કરે, બ્રાન્ચ મેનેજરને મળે, છતાં જો માત્ર વાયદાઓ જ મળતા હોય તો તે ખૂબ જ નિરાશાજનક છે.

આવી લાચારી ભરેલી પરિસ્થિતિમાં ઘણા લોકોને લાગે છે કે હવે કોઈ રસ્તો બચ્યો નથી અને તેઓ હાર માની લે છે. પરંતુ તમારે એ જાણવું જરૂરી છે કે બેંક એ અંતિમ સત્તા નથી. જો બેંક તમારી વાત ન સાંભળે, તો તેની ઉપર પણ એક 'બોસ' બેઠો છે અને તે છે ભારતીય રિઝર્વ બેંક (RBI). ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે આરબીઆઈએ એક મજબૂત વ્યવસ્થા ઊભી કરી છે, જ્યાં તમારી ફરિયાદને માત્ર સાંભળવામાં જ નથી આવતી પણ તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે.

Continues below advertisement

આ સુવિધાનું નામ છે 'ફરિયાદ વ્યવસ્થાપન પ્રણાલી' એટલે કે CMS (Complaint Management System). આ આરબીઆઈ દ્વારા તૈયાર કરાયેલું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોની બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સંબંધિત ફરિયાદોનું નિવારણ લાવવાનો છે. આ પોર્ટલની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં તમે સરકારી (જાહેર ક્ષેત્રની) અને ખાનગી એમ બંને પ્રકારની બેંકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. એકવાર અહીં ફરિયાદ દાખલ થાય, એટલે તે સીધી આરબીઆઈના મોનિટરિંગ હેઠળ આવી જાય છે.

જ્યારે કોઈ ફરિયાદ CMS પોર્ટલ મારફતે આરબીઆઈ સુધી પહોંચે છે, ત્યારે સંબંધિત બેંક તેને હળવાશથી લઈ શકતી નથી. કારણ કે જો બેંક નિયત સમયમર્યાદામાં ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપે અથવા સમસ્યાનું નિરાકરણ ન લાવે, તો આરબીઆઈ તે બેંક સામે કડક પગલાં લઈ શકે છે. પછી તે લોનનો મુદ્દો હોય, ક્રેડિટ કાર્ડની સમસ્યા હોય કે પછી સેવામાં બેદરકારીનો મામલો હોય, આ પ્લેટફોર્મ સામાન્ય નાગરિકો માટે એક શક્તિશાળી હથિયાર સાબિત થઈ રહ્યું છે.

જો તમે આ પોર્ટલ પર ફરિયાદ કરવા માંગતા હોવ, તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ અને યુઝર-ફ્રેન્ડલી છે. સૌથી પહેલા તમારે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પર સત્તાવાર વેબસાઈટ cms.rbi.org.in ઓપન કરવાની રહેશે. ત્યાં હોમપેજ પર તમને 'File a Complaint' નો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ ખુલશે, જેમાં તમારે કેપ્ચા કોડ, તમારું નામ અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફિકેશન કર્યા બાદ તમે મુખ્ય પ્રક્રિયામાં આગળ વધી શકશો.

આગળના સ્ટેપમાં તમારે જે બેંક સામે ફરિયાદ હોય તેનું નામ પસંદ કરવાનું રહેશે અને તમારી સમસ્યાની વિગતવાર માહિતી લખવાની રહેશે. અહીં એક મહત્વનો વિકલ્પ એ પણ છે કે જો તમને બેંકની ભૂલના કારણે આર્થિક નુકસાન થયું હોય, તો તમે વળતર (Compensation) નો દાવો પણ કરી શકો છો. બધી માહિતી ભર્યા બાદ 'Submit' બટન પર ક્લિક કરતાની સાથે જ તમારી ફરિયાદ નોંધાઈ જશે અને તમને એક યુનિક ફરિયાદ નંબર મળશે.

આ નંબરની મદદથી તમે ભવિષ્યમાં તમારી ફરિયાદનું સ્ટેટસ પણ ટ્રેક કરી શકો છો. આમ, બેંકના ધક્કા ખાધા વગર કે કોઈની ભલામણ લીધા વગર તમે જાતે જ તમારા અધિકારોનો ઉપયોગ કરી શકો છો. જો તમારી કોઈ જૂની સમસ્યા અટકેલી હોય, તો આજે જ આ પોર્ટલનો ઉપયોગ કરીને તેનું નિરાકરણ લાવો. જાગૃત ગ્રાહક બનીને આરબીઆઈની આ સુવિધાનો લાભ લેવો એ સમયની માંગ છે.