Bank Holiday May 2026: જો તમે આવતા અઠવાડિયે બેંકના કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા છો, તો ઘરની બહાર નીકળતા પહેલા બેંકની રજાઓ વિશે ચોક્કસ જાણી લેજો. 4 મે થી 10 મે, 2026 ના અઠવાડિયા દરમિયાન બેંકો 2 દિવસ માટે બંધ રહેવાની છે. આ રજાઓમાં એક નિયમિત રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે. બેંક બંધ હોવાના કારણે ચેક ક્લિયરન્સ જેવી સેવાઓ પર અસર પડી શકે છે, જોકે તમારા ખાતા અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. તો ચાલો જાણીએ આવતા અઠવાડિયે ક્યાં અને ક્યારે બેંકો બંધ રહેશે, જેથી તમારો કિંમતી સમય બગડે નહીં.

અગાઉથી જ કરી લો પ્લાનિંગ

બેંક બંધ હોવાને કારણે ઘણીવાર આપણો સમય અને પેટ્રોલ બંને બગડતા હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના રજાઓના કેલેન્ડર મુજબ, SBI, HDFC, ICICI સહિતની તમામ સરકારી અને ખાનગી બેંકોમાં અમુક રજાઓ ફિક્સ હોય છે. જેમાં બધા રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાઓ સામેલ છે. આગામી દિવસોમાં આ નિયમો અને પ્રાદેશિક તહેવારોના આધારે બેંકો 2 દિવસ બંધ રહી શકે છે.

Continues below advertisement
Continues below advertisement

આવતા અઠવાડિયાની બેંક રજાઓનું લિસ્ટ

9 મે (શનિવાર): રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ હોવાથી આ દિવસે માત્ર પશ્ચિમ બંગાળ (કોલકાતા) માં જ બેંકો બંધ રહેશે. ગુજરાત સહિત દેશના બાકીના ભાગોમાં બેંક શાખાઓ ખુલ્લી રહેશે અને કામકાજ રાબેતા મુજબ થશે.

10 મે (રવિવાર): સાપ્તાહિક રજા (રવિવાર) હોવાના કારણે આખા દેશમાં તમામ બેંકો બંધ રહેશે.

Bank of Baroda ની 444 દિવસની FD માં 1,00,000 લાખ રોકો તો કેટલું વ્યાજ મળશે? જુઓ ગણિત

9 મે ના રોજ કોલકાતામાં કેમ છે રજા?

9 મે ના રોજ કોલકાતામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેને ત્યાં 'રવિન્દ્ર જયંતિ' અથવા 'પચીશે વૈશાખ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ તો તેમનો જન્મ 7 મે ના રોજ થયો હતો, પરંતુ બંગાળી કેલેન્ડર મુજબ આ વર્ષે તેમની જન્મજયંતિ 9 મે ના રોજ ઉજવવામાં આવશે. 1861 માં કોલકાતામાં જન્મેલા રવીન્દ્રનાથ ટાગોરને ભારતની મહાન સાહિત્યિક અને સાંસ્કૃતિક હસ્તીઓમાં ગણવામાં આવે છે. સાહિત્ય, સંગીત અને કલામાં તેમના અદભુત યોગદાનને યાદ કરવા માટે આ દિવસ ખાસ ઉજવાય છે.

ખાસ નોંધ: દેશભરમાં બેંકની રજાઓ બધે એકસરખી હોતી નથી. પ્રાદેશિક તહેવારો અને રાજ્યોના ખાસ કાર્યક્રમો મુજબ તેમાં ફેરફાર થતો રહે છે. જો કોઈ ખાસ રજા ન હોય તો, બેંકો મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી જ રહે છે. તેથી કોઈપણ અગવડતાથી બચવા માટે બેંકમાં જતા પહેલા તમારી બ્રાન્ચનો સંપર્ક કરી સમય વિશે ખાતરી કરી લેવી હિતાવહ છે.

SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!