BharatPe: ફિનટેક કંપનીઓ માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. Paytm બાદ હવે BharatPe મુશ્કેલીમાં છે. કોર્પોરેટ મંત્રાલયે BharatPeને નોટિસ જાહેર કરી છે. મંત્રાલયે કંપની એક્ટની કલમ 206 હેઠળ નોટિસ જાહેર કરી છે અને અશનીર ગ્રોવર કેસમાં BharatPe પાસેથી માહિતી માંગી છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે તે તપાસમાં સરકારને સંપૂર્ણ સહયોગ કરશે.


મનીકંટ્રોલના અહેવાલ અનુસાર, કોર્પોરેટ મંત્રાલયે BharatPeને નોટિસ જાહેર કરીને પૂછ્યું છે કે અશનીર ગ્રોવર વિરુદ્ધ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા ક્રિમિનલ અને સિવિલ કેસ સંબંધિત પુરાવા શું છે. નોંધનીય છે કે અશનીર ગ્રોવરે BharatPeની સ્થાપના કરી હતી. પાછળથી અશનીર અને તેની પત્ની પર કંપનીના ભંડોળની ઉચાપત કરવાના આરોપો મૂકવામાં આવ્યા હતા અને તેમને કંપનીના બોર્ડમાંથી હટાવવામાં આવ્યા હતા.


કંપનીએ શું કહ્યું?


નોટિસ પર ભારતપેએ જવાબ આપ્યો છે કે મંત્રાલયે કંપનીને નોટિસ જાહેર કરી છે અને અશનીર કેસમાં વધુ માહિતી માંગી છે. સરકારે 2022 માં કેસની સમીક્ષા શરૂ કરી હતી અને આ તપાસને આગળ વધારવા માહિતી માંગી હતી. કંપનીએ કહ્યું કે અમે તપાસ એજન્સીઓને દરેક સંભવ મદદ કરવાનો પ્રયાસ કરીશું.


શું છે સમગ્ર કેસ?


ભારતપે 4 વર્ષ પહેલા અશનીર ગ્રોવર દ્વારા શરૂ કરવામાં આવી હતી. અશની સામેનો વિવાદ 2022ની શરૂઆતમાં શરૂ થયો હતો. તેણે કોટક ગ્રુપના કર્મચારીને ધમકી આપી હતી કારણ કે તેણે તેને નાયકાનો આઇપીઓ ફાળવ્યો ન હતો. વિવાદ વધતાં ગ્રોવરે ભારતપેના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપ્યું. આ પછી કંપનીએ અશનીર સામે નાણાકીય હેરાફેરી અંગે ઓડિટ પણ શરૂ કર્યું હતું.


કંપનીએ કેસ દાખલ કર્યો


ઓડિટ બાદ કંપનીએ અશનીર વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નકલી બિલ અને કંપનીના ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, અશનીરે ભારતપે બનાવવામાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપ્યું નથી. કંપનીનો દાવો છે કે અશનીરે 2018માં માત્ર 31,920 રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેના બદલામાં તેને 3,192 શેર મળ્યા હતા.