નવી દિલ્હી:  ભારતી એરટેલ ટેલીકોમ કંપનીના ચેરમેન સુનીલ મિત્તલે કહ્યું કે ભારતી એરટેલ આ વર્ષે તમામ પ્લાનમાં મોબાઈલ ફોન કોલ અને ડેટાના ભાવમાં વધારો કરવા પર વિચાર કરી રહ્યું છે. કંપનીએ ગત મહીને આઠ સર્કલમાં લધુત્તમ રિચાર્જ અથવા 28-દિવસના મોબાઇલ ફોન સર્વિસ પ્લાન માટે એન્ટ્રી લેવલની કિંમત લગભગ 57 ટકા વધારીને ₹155 કરી હતી. 


મિત્તલે જણાવ્યું હતું કે ભારતી એરટેલ ટેલીકોમ કંપનીએ ઘણી મૂડી ભેળવી છે જેનાથી બેલેન્સ શીટ મજબૂત થઈ છે, પરંતુ રોકાણ પરનું વળતર ટેલિકોમ ઉદ્યોગમાં સૌથી ઓછું છે. આ બદલવાની જરૂર છે. અમે યોજનાઓના દરોને નાની રીતે વધારવા જઈ રહ્યા છીએ, જે ટેરિફને યોગ્ય સ્થિતિમાં લાવવા માટે જરૂરી છે. જો કે, તેમણે જણાવ્યું નથી કે પ્લાનમાં કેટલો વધારો થઈ શકે છે.


જાન્યુઆરીમાં 8 સર્કલમાં રેટ વધારવામાં આવ્યા હતા


એરટેલે ગયા મહિને એટલે કે જાન્યુઆરીમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, બિહાર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત દેશના 8 સર્કલમાં પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો. કંપનીએ 28 દિવસ માટે મોબાઈલ ફોનનું ન્યૂનતમ માસિક રિચાર્જ 57% વધારીને 155 રૂપિયા કર્યું છે. આ 8 સર્કલમાં કંપનીએ હવે 99 રૂપિયાનું ન્યૂનતમ રિચાર્જ બંધ કરી દીધું છે. આમાં, 200 MB ઇન્ટરનેટ અને કૉલ્સનો ચાર્જ 2.5 પૈસા પ્રતિ સેકન્ડ હતો.


99 રૂપિયાનો પ્લાન તમામ સર્કલમાં બંધ થઈ શકે છે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની 28 દિવસ માટે 155 રૂપિયાથી નીચેના તમામ કોલિંગ અને એસએમએસ ટેરિફને દૂર કરવાની યોજના બનાવી રહી છે. જો આવું થાય છે  તો સિમને એક્ટિવ રાખવા માટે યુઝરે ઓછામાં ઓછા 155 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે.


કંપની ARPUને 300 રૂપિયાથી આગળ લઈ જવા માંગે છે


કંપનીની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) હાલમાં રૂ. 193 છે. કંપની પ્લાન વધારીને તેને 300 રૂપિયા સુધી લઈ જવા માંગે છે. પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) એ સરેરાશ રકમ છે જે કંપનીઓ દર મહિને વપરાશકર્તા પાસેથી કમાય છે.


દેશમાં એરટેલના 36.7 કરોડ યુઝર્સ છે


એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે. દેશમાં તેના 367 મિલિયન યુઝર્સ છે. આ કિસ્સામાં, Jio 421 મિલિયન વપરાશકર્તાઓ સાથે ટોચ પર છે. જ્યારે VI (24.1 કરોડ વપરાશકર્તાઓ) ત્રીજા નંબરે છે અને BSNL (10.6 કરોડ વપરાશકર્તાઓ) ચોથા નંબરે છે.