નવી દિલ્હી: મોદી સરકારે ગ્રામ્ય અર્થવ્યવસ્થાને વધારે મજબૂત કરવા પર જોર આપ્યું છે. જેને ધ્યાનમાં લઈને સરકારે મનરેગાના બજેટમાં 9 ટકાનો વધારો કર્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 2018-19 કરતા આ વખતે પાંચ હજાર કરોડ રૂપિયાના વધારાની જાહેરાત કરી છે.


નાણાકીય વર્ષ 2018-19માં મોદી સરકારે 55 હજાર કરોડ રૂપિયા મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી એક્ટ (મનરેગા) માટે ફાળવ્યા હતા, આ વખતે આ રકમમાં વધારો કરી 60 હજાર કરોડ કરવામાં આવ્યા છે. 9 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કૉંગ્રેસની સરકાર વખતે મનરેગાને 2005ના સપ્ટેમ્બર મહિનામાં લાગૂ કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક ગ્રામિણ પરિવારના તમામ વયસ્ક સભ્યોને મિનિમમ મજૂરી પર રોજગાર આપવાની ગેરંટી છે.

વિપક્ષી દળો ખાસ કરીને કૉંગ્રેસ મોદી સરકાર પર મનરેગા જેવી યોજનાને નબળી કરવાના આરોપ લગાવતી રહી છે. કૉંગ્રેસે આજે પણ આરોપ લગાવ્યો કે નાણા મંત્રીએ મનરેગા જેવી યોજનાઓનો પોતાના બજેટ ભાષણમાં ઉલ્લેખ પણ ન કર્યો.