નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે સરકારે 2020-21ના વર્ષના આઈટીઆર ફોર્મમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ રવિવારે એક રિલીઝમાં કહ્યું કે, આ અંગે ચાલુ મહિનાના અંતમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.


કરદાતાઓને રાહત આપવા ઈન્કમટેક્સ સાથે સંકળાયેલી વિવિધ ડેડલાઈન 31 માર્ચે પૂરી થતી હતી, જેને લંબાવીને 30 જૂન કરી દેવામાં આવી હતી. લોકોને પડી રહી મુશ્કેલી અને કોરોનાવાયરસનો ફેલાવો અટકે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને સમય મર્યાદા વધારતી વખતે જણાવ્યું હતું.

સીબીડીટીના જણાવ્યા મુજબ, ફોર્મમાં કેટલાક જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. જેમાં કરદાતા એપ્રિલથી જૂન 2020 સુધી કરેલા રોકાણ, ટ્રાન્ઝેકશનનો પણ લાભ લઈ શકશે. જરૂરી સુધારા થયા બાદ 31 મેથી રિટર્ન ફાઈલ કરી શકાશે. સામાન્ય રીતે ઈન્કમ ટેક્સ રિટર્નના ફોર્મ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં નોટિફાઈ થતા હોય છે.

ચાલુ વર્ષે પણ ઈ-ફાઈલિંગ સુવિધા 1 એપ્રિલથી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી અને આઈટીઆર ફોર્મ - આઈટીઆર 1 (સહજ) અને આઈટીઆર 4 (સુગમ) 3 જાન્યુઆરીએ નોટિફાઈ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કોરોના મહામારીના કારણે વધારવામાં આવેલી સમયમર્યાદાનો કરદાતાઓ લાભ લઈ શકે તે માટે સુધારો કરવામાં આવ્યો છે.